અમરેલીમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો:વનચેતના કેન્દ્ર ખાતે 'બીજ મેળા'નું ભવ્ય આયોજન, નાગરિકોમાં નિઃશુલ્ક છોડનું વિતરણ
અમરેલીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વનચેતના કેન્દ્ર ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક ભવ્ય 'બીજ મેળા'નું આયોજન કરાયું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વસુંધરાના સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની નૈતિક જવાબદારીને પુનઃ ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મે. નાયબ વન સંરક્ષક સાહેબ અને મે. મદદનીશ વન સંરક્ષક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટાફ અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહેશભાઈ જાવિયા, વિદ્યાસભાના ટ્રસ્ટી વસંતભાઈ પેથાણી, ચતુરભાઈ ખુંટ, લાયન્સ ક્લબના પ્રમુખ રૂજલભાઈ ગોંડલીયા અને રોટરી ક્લબના સભ્યો સહિતના સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. મહેમાનોનું સ્વાગત પરંપરાગત પુષ્પગુચ્છને બદલે પવિત્ર 'બીલી'ના છોડ આપીને કરવામાં આવ્યું હતું. યુવા પેઢીની સહભાગિતા સુનિશ્ચિત કરવા નેત્ર ચિકિત્સા ચેરિટેબલ ટ્રસ્ટ સંકુલની આયુર્વેદિક કોલેજના આશરે 110 વિદ્યાર્થીઓએ મેળામાં સક્રિય ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નર્સરીની મુલાકાત લઈને વનસ્પતિઓના ઔષધિય મહત્વ વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, ચોમાસામાં હરિયાળી વધારવાના હેતુથી વૈજ્ઞાનિક પદ્ધતિથી 'સીડ્સ બોલ' બનાવવાની પ્રાયોગિક કામગીરી પણ કરવામાં આવી હતી. મેળાનું મુખ્ય આકર્ષણ સ્થાનિક તેમજ લુપ્ત થવાના આરે રહેલી 100થી વધુ દુર્લભ વનસ્પતિઓના બીજનું પ્રદર્શન હતું. કાર્યક્રમને યાદગાર બનાવવા મહાનુભાવોના હસ્તે પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરાયું હતું અને નાગરિકોને 'ગ્રીન ગિફ્ટ' તરીકે નિઃશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન આશરે ૨૦૦ પ્રકૃતિપ્રેમીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો, જે અમરેલી જિલ્લામાં પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે એક નવો આયામ સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે.
Read Original Article →