16 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી મહેસાણા હાઈવે ઝડપાયો:એકાઉન્ટન્ટની નોકરી છોડી ડ્રાઈવર બન્યો, 2009 માં ટેક્સટાઈલની ઓફિસમાંથી 3.60 લાખની ચોરી કરી હતી
સુરતના મહિધરપુરા વિસ્તારમાં વર્ષ 2009માં પોતાના શેઠનો વિશ્વાસ તોડી ₹3.60 લાખની ચોરી કરી ફરાર થયેલા આરોપી સોહનલાલ બિશ્નોઈને ઝોન-5 LCBની ટીમે 16 વર્ષ અને 3 મહિના બાદ મહેસાણા-પાલનપુર હાઈવે પરથી ઝડપી પાડ્યો છે. સફેદ કોલર જોબ છોડી ડ્રાઈવર બની ઓળખ છુપાવનાર આ આરોપી ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની સતર્કતાને કારણે આખરે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો?
વર્ષ 2009માં, રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચંપાબેરી ગામનો વતની સોહનલાલ બિશ્નોઈ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી ચંદુમલ તેજવાણીની ટેક્સટાઇલ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. ઓફિસના હિસાબ-કિતાબ અને રોકડની તમામ જવાબદારી સોહનલાલના શિરે હતી. આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી, તેણે ઓફિસમાંથી રોકડ અને ચેક મળી કુલ ₹3.60 લાખની ઉચાપત કરી હતી અને રાતોરાત સુરત છોડીને પલાયન થઈ ગયો હતો. આ મામલે મહિધરપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને તેની સામે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. ઓળખ બદલીને પોલીસને 16 વર્ષ સુધી થાપ આપી
પોલીસની પકડથી બચવા માટે સોહનલાલે પોતાની જીવનશૈલી અને વ્યવસાય સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. એકાઉન્ટન્ટની નોકરી છોડી તેણે ડ્રાઈવિંગનો વ્યવસાય અપનાવ્યો હતો અને અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને રહેતો હતો. 40 વર્ષીય સોહનલાલને એમ હતું કે દોઢ દાયકા જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી પોલીસ તેને ભૂલી ગઈ હશે, પરંતુ સુરત પોલીસની ટીમ સતત તેના મૂળ શોધવામાં કાર્યરત હતી. મહેસાણા-પાલનપુર હાઈવે પરથી આરોપીની ધરપકડ
ઝોન-5 LCB ના અધિકારી લખધીર સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જાણવા મળ્યું કે સોહનલાલ હાલ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં ડ્રાઈવર તરીકે અવરજવર કરે છે. બાતમીના આધારે પોલીસે મહેસાણા-પાલનપુર હાઇવે પર આવેલી 'ધરતી સતી માતા હોટલ' પાસે સાદા વેશમાં વોચ ગોઠવી હતી. જેવો સોહનલાલ હોટલના મેદાનમાં દેખાયો, પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરી
ધરપકડ બાદ આરોપી સોહનલાલને આગળની કાર્યવાહી માટે મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હાલ એ દિશામાં પૂછપરછ કરી રહી છે કે 16 વર્ષના આ લાંબા સમયગાળા દરમિયાન તેણે અન્ય કયા સ્થળોએ આશરો લીધો હતો અને શું તેણે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી છે કે કેમ. આ કામગીરી દ્વારા સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે તેટલો સમય ભાગતો રહે, પણ કાયદો તેને શોધી જ લે છે.
Read Original Article →