વસ્તી ગણતરીના બહાને વિકાસ કામો ખોરંભે:‘સોસાયટીઓમાં રોડ, ગટર, પાણીનાં કામ અધૂરાં, ફોન પર અધિકારીઓ ગોખેલો જ જવાબ આપે છે કે મીટિંગમાં છીએ’
વસ્તી ગણતરીની કામગીરીને કારણે લોકોના રોજીંદા અને વિકાસ કામો ખોરંભે પડ્યા છે. કામરેજના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરી હતી કે, અધિકારીઓ ટ્રેનિંગ અને મીટિંગમાં એટલા વ્યસ્ત છે કે પ્રિ-મોન્સૂન કામગીરી પણ રઝળાવી દીધી છે. ‘સોસાયટીઓમાં રોડ, ગટર, પાણીનાં કામ અધૂરાં, ફોન પર અધિકારીઓ ગોખેલો જ જવાબ આપે છે કે મીટિંગમાં છીએ’ ઈલેક્શન વિભાગના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, કર્મીઓને સૂચના આપી છે કે પ્રિ-મોન્સૂન કામગીરીને પ્રાથમિકતા આપવી પડશે. અધિકારીઓ ફોન પણ ઉપાડતા ન હોવાની ફરિયાદ
ધારાસભ્યએ ફરિયાદમાં કહ્યું હતું કે છેલ્લા 5 દિવસથી કોઈપણ અધિકારીને લોકોના કામ માટે ફોન કરીએ તો એક જ ગોખેલો જવાબ મળે છે કે વસ્તી ગણતરીની ટ્રેનિંગ કે મીટિંગમાં છું. વસ્તી ગણતરીનો કાર્યક્રમ છે તે કરવો જ પડે તે સમજી શકાય પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે વિકાસના અને રોજીંદા કામોને અધવચ્ચે લટકાવી દેવાય. ઘણા તો ફોન પણ ઉપાડતા નથી. પહેલો વરસાદ પડતાં જ રહીશોની હાલત કફોડી બનશે
ધારાસભ્યએ કહ્યું કે, ચોમાસું નજીક છે ત્યારે સોસાયટીઓમાં પાણી, ગટર અને રસ્તા રિપેરિંગનાં કામો ચાલી રહ્યાં છે. જો આ પ્રિ-મોન્સૂન કામગીરી સમયસર પૂરી નહીં થાય તો પહેલો વરસાદ પડતાં જ લોકોને પોતાની સોસાયટીમાં કે ઘરમાં જવું પણ મુશ્કેલ બની જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ ફેલાઇ છે. ‘ચોમાસા પહેલાં ખાડીનો કચરો સાફ ન થાય તો શિક્ષાત્મક પગલાં લેવાશે’
પુણામાં ખાડી સફાઈ તેમજ બોક્સ કલવર્ટની કામગીરીનું ધારાસભ્ય પાનશેરિયા તથા મેયર માયા માવાણીએ નિરીક્ષણ કર્યું હતું. જો કે, ધીમી કામગીરી જોઈને તેમણે અધિકારીઓને ટકોર કરી હતી કે, ‘ચોમાસા પહેલાં ખાડીના વહેણમાં આવતા અવરોધો કોઈપણ સંજોગોમાં દૂર થવા જોઈએ, નહિતર શિક્ષાત્મક પગલાં લેવાશે.’ ખાડી રિ-મોડેલિંગ, ડ્રેનેજ અપગ્રેડેશન મંથર ગતિએ
વરાછા-લિંબાયતમાં ખાડી પૂર સામે મનપાએ ‘ખાડી રિ-મોડેલિંગ અને ડ્રેનેજ અપગ્રેડેશન’નો માસ્ટર પ્લાન મંજૂર કર્યો હતો, જેમાં પુણા સીતાનગરથી ખાડી સુધી સંજયનગર પાસે 35 કરોડના ખર્ચે RCC બોક્સ કલવર્ટની કામગીરી 2024થી ચાલી રહી છે પરંતુ આજ સુધી કનેક્ટિવિટીનું ગ્રાઉન્ડ વર્ક 100 ટકા પૂરું થઈ શક્યું નથી.
Read Original Article →