એટ્રોસીટી અને દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે ઝડપાયા:સાબરકાંઠા LCB એ માળીયામીયાણાથી પકડ્યા, હિંમતનગર પોલીસને સોંપ્યા
સાબરકાંઠા LCB એ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મોરબીના માળીયામીયાણા ખાતેથી ઝડપી પાડ્યા છે. આ બંનેને હિંમતનગર લાવી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ કેસ ત્રણ વર્ષ જૂનો છે. વર્ષ 2023માં હિંમતનગરમાં રવિકુમાર કાનજીભાઈ મોચીની પત્ની ચાંદનીબેન અને રમજાનમીયા કટિયા પ્રેમ સંબંધને કારણે ભાગી ગયા હતા. આ ઘટના બાદ રવિકુમાર મોચીએ સુસાઈડ નોટ લખીને ગત તા. 4 માર્ચ, 2023 ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રવિકુમારની આત્મહત્યા બાદ નોંધાયેલી ફરિયાદના આધારે ચાંદનીબેન અને રમજાનમીયા વિરુદ્ધ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા. LCB ના PI ડી.સી. સાકરીયાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે LCB સ્ટાફે રમજાનમીયા ઈબ્રાહીમભાઈ કટિયા (ઉંમર 28) અને ચાંદનીબેન દિનેશભાઈ ખેતશીભાઈ ચાવડા (મોચી) (ઉંમર 25) ને માળીયામીયાણા, નવા રેલવે સ્ટેશન સામે, જી. મોરબી ખાતેથી ઝડપી પાડ્યા હતા. આ બંને મૂળ મિરજાપર, તા. ભુજ, જી. કચ્છના રહેવાસી છે. આરોપીઓની ધરપકડ બાદ તેમને હિંમતનગર લાવવામાં આવ્યા હતા અને કાયદેસરની વધુ કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
Read Original Article →