ઈડરના આરસોડીયામાંથી અપહૃત બે બાળકોનો બચાવ:પ્રેમિકાને પામવા અપહરણ કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આરસોડીયા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરીને બે માસૂમ બાળકોને હેમખેમ છોડાવી લીધા છે. આ ઘટનામાં પ્રેમિકાને પામવાની ઘેલછામાં એક પ્રેમીએ જ અપહરણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરસોડીયા વિસ્તારમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન બે બાળકો અચાનક ગુમ થયા હતા. તપાસમાં સામે આવ્યું કે દેવરાજસિંહ રાઠોડ નામના શખ્સે આ બંને બાળકોનું અપહરણ કર્યું હતું. આરોપી દેવરાજસિંહ જે યુવતીને પ્રેમ કરતો હતો, તેના સગાભાઈ અને ભત્રીજાનું તેણે પ્રસંગમાંથી અપહરણ કરી બાળકોને એક અવાવરુ ફેક્ટરીમાં સંતાડી દીધા હતા. અપહરણની ગંભીર ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠાના ઇન્ચાર્જ એસ.પી. સ્મિત ગોહિલની સૂચનાથી સ્થાનિક પોલીસ અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. પોલીસે જાદર અને ઈડરની આસપાસના વિસ્તારોને કોર્ડન કરી સઘન શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ગણતરીના કલાકોમાં જ બાળકો ક્યાં છુપાવવામાં આવ્યા છે તેની ચોક્કસ કડીઓ મળી ગઈ હતી. પોલીસ ટીમોએ ફેક્ટરીને ઘેરી લીધી હતી. બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને પોલીસે સીધો હુમલો કરવાને બદલે SOG અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આરોપી દેવરાજસિંહ રાઠોડ સાથે વાતચીત શરૂ કરી તેને વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. આ તકનો લાભ ઉઠાવી પોલીસે તેને ઝડપી લીધો અને બંને બાળકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા. જાદર પોલીસે આ મામલે મુખ્ય આરોપી દેવરાજસિંહ રાઠોડની ધરપકડ કરી લીધી છે. પ્રેમિકાને પામવા માટે માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકનાર આ આરોપી વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →