માર્ગો પર ઘાસચારો નાખવા પર કલેક્ટરના પ્રતિબંધનો ઉલાળ્યો:હિંમતનગર ધાંણધા ફાટક પાસે રોડ પર ઘાસચારાને લીધે ગાયોના આતંકથી અકસ્માતનો ભય

Gujarat4/8/2026, 7:04:25 AM
માર્ગો પર ઘાસચારો નાખવા પર કલેક્ટરના પ્રતિબંધનો ઉલાળ્યો:હિંમતનગર ધાંણધા ફાટક પાસે રોડ પર ઘાસચારાને લીધે ગાયોના આતંકથી અકસ્માતનો ભય
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગો પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, હિંમતનગરમાં તેની અમલવારીમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને ધાંણધા રેલવે ફાટક નંબર 86 પાસે નિયમિતપણે ઘાસચારો નાખવામાં આવતો હોવાથી ગાયોના મોટા ટોળા જમા થાય છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ટ્રેનના હોર્નથી ગાયો ભડકતા દોડધામ હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર સ્થિત ધાંણધા ફાટક પાસેની સ્થિતિ વધુ ગંભીર છે. જ્યારે ખેડબ્રહ્માથી અસારવા જતી મેમુ ટ્રેન પસાર થવા માટે ફાટક બંધ કરવામાં આવે છે, ત્યારે ટ્રેનના જોરદાર હોર્નથી રોડ પર ઉભેલી ગાયો ભડકીને અસ્તવ્યસ્ત દોડવા લાગે છે. ફાટક બંધ હોવાના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગેલી હોય છે, તેવામાં ભડકેલી ગાયો વાહનચાલકો સાથે અથડાતા અકસ્માતની ભીતિ સર્જાય છે. પરીક્ષાર્થી દીકરીને ગાયે હડફેટે લીધી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા જ આ વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી હતી. પરીક્ષા આપવા જઈ રહેલી એક વિદ્યાર્થિનીને ગાયોના ટોળાએ હડફેટે લેતા તેને ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, ગાયો વારંવાર રેલવે ટ્રેક પર ચડી જતી હોવાથી ટ્રેન અકસ્માતનું જોખમ પણ સતત તોળાઈ રહ્યું છે. તંત્રની ઉદાસીનતા સામે રોષ સ્થાનિકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ કરાવી ઘાસચારો નાખનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી. તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરીશું: ચીફ ઓફિસર આ મામલે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રોડ પર ઘાસચારો નાખવા અંગે અને ગાયોના ટોળાની સમસ્યા બાબતે તપાસ કરાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →