હિંમતનગરના ભોલેશ્વરમાં ગટર ઉભરાઈ, રોડ પર પાણી ભરાયા:પાલિકાતંત્ર મોડે મોડે સફાઈ કરવા પહોંચ્યું, અવરજવર પ્રભાવિત

Gujarat4/8/2026, 7:10:57 AM
હિંમતનગરના ભોલેશ્વરમાં ગટર ઉભરાઈ, રોડ પર પાણી ભરાયા:પાલિકાતંત્ર મોડે મોડે સફાઈ કરવા પહોંચ્યું, અવરજવર પ્રભાવિત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઈ રહી હતી. ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં ગટરના પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણી ભરાવાને કારણે ચાલીને જવું મુશ્કેલ બન્યું હતું અને લોકોને ફરીને જવાની ફરજ પડી હતી. આ અંગેની વિગત એવી છે કે, ભોલેશ્વર વિસ્તારમાં આવેલી ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ગટર ભરાઈ ગઈ હતી. ઢાળ અને ખુલ્લા પ્લોટમાંથી પસાર થઈને ગટરનું પાણી સ્થાનિક રહીશ પ્રેમીલાબેન પંડ્યાના ઘર આગળના રસ્તા પર ભરાઈ ગયું હતું, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા હિંમતનગર નગરપાલિકામાં જાણ કરવામાં આવતા, ગટર વિભાગના કર્મચારીઓ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ભરાયેલી ગટરની સફાઈ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગટરમાં કચરો અને કપડાં ભરાઈ જવાને કારણે પાણી ઉભરાયું હતું. ગઈકાલે વરસાદી પાણી હતું જે નીકળી ગયું હતું, પરંતુ ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતા સમસ્યા યથાવત રહી હતી. હાલ ગટરની સફાઈ થઈ ગઈ છે, પરંતુ ગટરનું પાણી હજુ પણ રોડ પર ભરાયેલું છે. આ પાણી સુકાય અથવા નીકળી જાય પછી જ અવરજવર સામાન્ય થઈ શકશે.
Read Original Article →