હિંમતનગરમાં 108 દ્વારા પાયલોટ દિવસની ઉજવણી:ઉત્તર ગુજરાતના 80 પાયલોટ અને EMTનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન
હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે 108 ઈમરજન્સી સેવાના પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર ગુજરાતના 80 થી વધુ પાયલોટ અને EMT કર્મચારીઓને તેમની વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં સાબરકાંઠાના બે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007ના રોજ 108 ઈમરજન્સી સેવાનો પ્રારંભ થયો હતો. ત્યારથી દર વર્ષે 26 મેના રોજ પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય 108 સેવાના કર્મચારીઓની નિષ્ઠાવાન કામગીરીને બિરદાવવાનો છે. આ એવોર્ડ સેરેમનીમાં 108ના સીઈઓ જશવંત પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં 1400થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે. અત્યાર સુધીમાં 108 દ્વારા એક કરોડથી વધુ લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી છે. સરેરાશ 11 મિનિટના સમયગાળામાં 108 કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ સહાય પૂરી પાડે છે. 108 ઈમરજન્સી સેવા અકસ્માત, પ્રસૂતિ અને અન્ય વિવિધ મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિઓમાં લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડી રહી છે. આ સેવા અનેક લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ છે. આ સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ કટારકર, સિવિલના બળદેવ પટેલ અને 108 વિભાગના ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ જૈમીન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →