એસટી બસના કંડકટરને ચાલુ ફરજે હાર્ટએટેક આવ્યો:સુરત - રાજકોટ બસ રામપરા બેટી પૂલ પાસે પહોંચતા જ કન્ડક્ટર બેભાન થઈ ઢળી પડતા મોત
રાજકોટમાં એસટી બસના કંડકટરને ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા સારવારમાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. મૂળ જામનગરના વિરેન્દ્રભાઈ જાની તા.9 જૂનના બપોરના સમયે સુરતથી રાજકોટ આવતી એસટી બસમાં હતા ત્યારે આ બસ રામપરા ગામ નજીક પહોંચી ત્યારે કંડકટરની તબિયત લથડતા તે બેભાન થઈ ગયા હતા. જેથી તેમને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન તેમણે દમ તોડી દેતા તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. જેથી બે પુત્રી અને પુત્રએ પિતાની છત્રછાયા ગૂમાવી દીધી હતી. મળતી વિગતો મૂજબ, જામનગર એસટી વિભાગમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય વિરેન્દ્રભાઈ જાની તા.9 જૂનના સુરતથી રાજકોટ આવતી બસમાં પોતાની ફરજ પર હતા. જે દરમિયાન આ બસ તા.9 જૂનના બપોરે 3.30 વાગ્યા આસપાસ રામપરા બેટી પૂલ પાસે પહોંચી ત્યારે અચાનક કન્ડક્ટરની તબિયત ખરાબ થઈ જતા તે ત્યાં જ બેભાન થઈ ગયા હતા. જેથી બસના મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. જે બાદ કન્ડક્ટર વિરેન્દ્રભાઇને સારવાર માટે પ્રથમ કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન તેમણે દમ તોડી દીધો હોવાથી તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ તેમનું પોસ્ટ મોર્ટમ કરી મૃતદેહ જામનગર લઈ જવામાં આવ્યો હતો અને આજે 10 જૂનના તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. વિરેન્દ્રભાઈના પત્નીનું નામ લતાબેન છે. જ્યારે તેમને 3 સંતાનો છે. જેમાં આયુષી અને શિવાની એમ બે પુત્રી અને એક પુત્ર જતન છે.
Read Original Article →