રાજકોટમાં ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ:રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે લાઈનમાં ભંગાણ, રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન

Gujarat6/2/2026, 3:31:31 PM
રાજકોટમાં ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ:રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે લાઈનમાં ભંગાણ, રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન
રાજકોટ શહેરમાં ભર ઉનાળાની સિઝનમાં એક તરફ નાગરિકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારી અથવા અચાનક સર્જાતી ટેકનિકલ ખામીને કારણે હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થતો હોવાની ઘટના એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે આજે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવી જ ઘટના સામે આવી હતી. જેમાં પાણીની એક લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રસ્તા ઉપર વહેવા લાગ્યું હતું. જેને લઈને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે થોડીવારમાં જ મનપાની ટીમો દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના વેડફાટ અંગે પૂછતાં ડિવોટરિંગ કર્યું હોવાનો બચાવ કરાયો હતો. ધોમધખતા તાપ વચ્ચે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ પ્રાપ્ત વિગત મુજબ આજે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા જોતજોતામાં રસ્તા પર પાણીના મોટા રેલા ઉતરી આવ્યા હતા અને આસપાસનો આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો. ઉનાળાના ધોમધખતા તાપ વચ્ચે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવો નજારો જોવા મળ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ભંગાણને કારણે રાજકોટના વ્યસ્ત ગણાતા રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ધોમધખતા ઉનાળે ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન રૈયા ટેલિફોન એક્સચેન્જ આસપાસના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા સેંકડો વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખાસ કરીને દ્વિચક્રી વાહનનાં ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે અકસ્માતનો ભય પણ સતત મંડરાતો રહ્યો હતો અને સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર ઉપર પણ આની માઠી અસર જોવા મળી હતી. જોકે જાગૃત નાગરિકો દ્વારા આ મામલે તાત્કાલિક મનપા તંત્રને જાણ કરવામાં આવી હતી. વાલ્વમાં ખરાબી હોવાથી પાણીનો વેડફાટ ઘટનાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકા (મનપા)ની ટેકનિકલ ટીમ અને વોટર વર્ક્સ વિભાગનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયો હતો. મનપા દ્વારા યુદ્ધના ધોરણે લાઇન રિપેરીંગની કામગીરી હાથ કરવામાં આવી હતી. જેથી પાણીનો વધુ વેડફાટ અટકાવી શકાય. આ સ્થળે વાલ્વમાં ખરાબી હોવાથી તેને બદલવા માટે પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું હતું. આ મુખ્ય વાલ્વને બદલવો ખૂબ જ જરૂરી હતો દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં મનપાનાં સિટી ઈજનેર કુંતેશ મહેતાએ સમગ્ર પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આજે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક પાણીના વાલ્વમાં અચાનક ટેકનિકલ ખરાબી આવી હતી. આ મુખ્ય વાલ્વને બદલવો ખૂબ જ જરૂરી હતો, પરંતુ તે બદલવા માટે ડિવોટરિંગ એટલે કે લાઈનમાં રહેલું પાણી બહાર કાઢવું અનિવાર્ય હોવાથી આ પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું. જોકે, મનપાની ટીમે ભારે જહેમત બાદ તાત્કાલિક અસરથી નવો વાલ્વ બદલી નાખ્યો હતો અને લાઈન પૂર્વવત કરી દીધી હતી. પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ગોઠવવી જરૂરી ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણીની આવી મુખ્ય લાઈનો અને વાલ્વની નિયમિત જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે વારંવાર આવી સમસ્યાઓ સર્જાય છે. હાલ ઉનાળામાં જ્યારે પાણીની એક-એક બૂંદ કિંમતી હોય છે, ત્યારે આ પ્રકારે હજારો લિટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી જવું તે ખુબ ચિંતાજનક બાબત છે. મનપા ભલે આને ડિવોટરિંગની પ્રક્રિયા ગણાવીને પોતાનો બચાવ કરી રહી હોય, પરંતુ ભવિષ્યમાં આવી પ્રક્રિયા કરતી વખતે પાણીનો યોગ્ય નિકાલ થાય અથવા તેનો સંગ્રહ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.
Read Original Article →