રાજકોટમાં મેયરના વોર્ડના વોકળામાં જ સફાઈનો અભાવ !:શહેરમાં 47 નાના -મોટા વોકળાની 15 જૂન સુધીમાં સફાઈ પૂર્ણ થશે, કોંગ્રેસે કહ્યું - પોતાનું ઘર સાફ ન રાખી શકનારા મેયર માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત

Gujarat6/6/2026, 8:10:05 AM
રાજકોટમાં મેયરના વોર્ડના વોકળામાં જ સફાઈનો અભાવ !:શહેરમાં 47 નાના -મોટા વોકળાની 15 જૂન સુધીમાં સફાઈ પૂર્ણ થશે, કોંગ્રેસે કહ્યું - પોતાનું ઘર સાફ ન રાખી શકનારા મેયર માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત
રાજકોટ મહાનગરપાલિકામાં વરસાદી પાણીના નિકાલ માટે 14 કુદરતી સહિત નાના -મોટા 47 વોકળા આવેલા છે. તાજેતરમાં જ નવનિયુક્ત મેયર ડૉ.નેહલ શુક્લએ ભાજપના તમામ 65 કોર્પોરેટરોને ચોમાસા પહેલા વોકળાની સફાઈ થાય તે માટે સ્થળ ચકાસણી કરી તેના ફોટા મંગાવ્યા હતા. જોકે આજે હકીકત એ સામે આવી છે કે મેયરના ખુદના વોર્ડ નંબર 7 માં વોકળાની સફાઈ થઈ નથી. આ મામલે વિરોધ પક્ષ કોંગ્રેસે ચાબખા માર્યા છે કે મેયર પોતાના વોર્ડના બુકડાની સફાઈ કરાવી શકતા નથી તો આખા રાજકોટ શહેરની પરિસ્થિતિ શું હશે તે વિચારી શકાય તેવી બાબત છે. બીજી તરફ મેયરે આ મામલે કહ્યું કે પ્રિ મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીની ડેડ લાઇન આપવામાં આવી છે. જોકે આગામી વર્ષે આ ડેડ લાઇન 20 મે સુધીની રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો વોર્ડ નંબર 7 કે જે અમીન માર્ગ અને એસ્ટ્રોન ચોક વચ્ચેનો વિસ્તાર છે અને આ પોશ વિસ્તાર ગણાય છે. આ રાજકોટ શહેરના મેયરનો વોર્ડ છે. છેલ્લા ચાર પાંચ દિવસથી જોઈ શકાય છે કે મેયર દ્વારા તમામ કોર્પોરેટરોને પ્રિમોન્સૂનની કામગીરીની સૂચના આપવામાં આવી. કોર્પોરેટર વોકળા ઉપર ઉતરો અને સમીક્ષા કરો. જોકે તે સમીક્ષા ફોટો સેશન અને રિલ્સ પૂરતી જ હતી. મેયરના વોર્ડમાં આવેલા વોકળામાં ગંદકી છે અને મેઇન હોલમાં કચરો ભરેલો છે. ઝૂંપડપટ્ટીના સામાન્ય લોકો અહીં રહી રહ્યા છે. મેયર પોતાના જ વોર્ડમાં આવેલો વોકળો સાફ કરાવી શક્યા નથી તો રાજકોટ શહેરના અન્ય વિસ્તારોની પરિસ્થિતિ શું હશે તે વિચારી શકાય તેવી બાબત છે. એક બે ઇંચ વરસાદમાં જ રાજકોટ શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળે છે અને આ રસ્તાઓ બેટની અંદર ફેરવાઈ જાય છે. આ વખતે રાજકોટ શહેરના લોકોને તેવો વિશ્વાસ હતો કે આટલો મોટો જનાદેશ આપ્યો છે ત્યારે નવા મેયર રસ્તા ઉપર ઉતરીને કામ કરશે પરંતુ મેયર ફોટો સેશન અને વાહવાહી પૂરતા જ કામ કરતા હોય તેવું વોકળા પરથી જોઈ શકાય છે. આ વખતે પણ ચોમાસામાં લોકોએ દુર્દશાનો સામનો કરવો પડશે. જ્યારે મેયર ડૉ.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા અમે વોકળાની મુલાકાતની ડ્રાઇવ કરી હતી અને તેવું ક્લિયર કર્યું હતુ કે 15 જૂન સુધીમાં સફાઈની કામગીરી પૂર્ણ કરવાની છે. જેથી આગામી વર્ષ માટે 20 મી મે ની ડેડ લાઇન રાખવાનું આદેશ આપી દીધો છે. જેથી ચોમાસા પૂર્વે યુદ્ધના ધોરણે પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ જાય.
Read Original Article →