રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર મેડિકલ કેમ્પ:ડ્રાઈવર અને કંડક્ટર સહિત 200 થી વધુ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ, અમૃત જ્વેલર્સને રૂ.10 કરોડના આભૂષણો પરત કરવા પડ્યા

Gujarat6/4/2026, 2:49:16 PM
રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર મેડિકલ કેમ્પ:ડ્રાઈવર અને કંડક્ટર સહિત 200 થી વધુ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ, અમૃત જ્વેલર્સને રૂ.10 કરોડના આભૂષણો પરત કરવા પડ્યા
રાજકોટ એસ.ટી બસ સ્ટોપ ખાતે એસ.ટી. નિગમના ડ્રાઇવર, કંડક્ટર અને અન્ય તમામ કર્મચારીઓ માટે એક વિશેષ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આસીસ્ટન્ટ ટ્રાફિક સુપ્રીટેન્ડન્ટ હિરેન પરમારે જણાવ્યું હતું કે, એસ.ટી.ના 200 જેટલા કર્મચારીએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી અને કેમ્પનો મહત્તમ લાભ લીધો હતો. આ કેમ્પમાં જાણીતી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા કર્મચારીઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા કર્મચારીઓના ડાયાબિટીસ, બીપી તેમજ BMI (બોડી માસ ઈન્ડેક્સ) ની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડ્રાઈવિંગ દરમિયાન આંખોની તંદુરસ્તી ખૂબ જ મહત્વની હોવાથી ડ્રાઈવર મિત્રો માટે ખાસ આંખોનું ચેકઅપ યોજાયું હતું. જેમાં ડૉક્ટરો દ્વારા મોતિયો કે આંખે ઝાંખપ આવવા સહિતની સમસ્યાઓ અંગે તપાસ કરી યોગ્ય સારવારનું માર્ગદર્શન અપાયું હતું, તેમજ દાંતની તકલીફ ધરાવતા કર્મચારીને સ્માઈલ પ્લસ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. અમૃત જ્વેલર્સનું ખોટી રીતે સીઝ કરેલું સોનુ પરત કરવું પડ્યું રાજકોટના ખ્‍યાતનામ અમૃત જવેલર્સ દ્વારા એક પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આયોજનનો મુખ્‍ય હેતુ તાજેતરમાં છત્તીસગઢ રાજ્‍યના મહાસમુંદ જિલ્‍લાના સિરાયપલી તાલુકાના સિગોરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બનેલી ઘટનાના તથ્‍યોને લોકો સમક્ષ સ્‍પષ્ટ કરવાનો હતો. પોલીસ દ્વારા નિયમિત ચેકીંગ દરમિયાન 7.50 કિલોગ્રામ સોનાના આભૂષણો કે જેની અંદાજિત કિંમત રૂ.10 કરોડ થાય છે તેને સીઝ કરવામાં આવ્‍યા હતા. આ મામલે સત્‍ય સામે આવ્‍યું છે અને કોર્ટે માલ મુક્‍ત કરવાનો ઐતિહાસિક આદેશ આપ્‍યો છે. સ્‍થાનિક પોલીસને જવેલર્સ માટે લાગુ પડતી જીએસટી જોગવાઈઓની પૂરતી જાણકારી ન હોવાથી વેચાણ ન થયું હોવા છતાં ઇન્‍વોઇસની માંગણી કરવામાં આવી હતી. તમામ દસ્‍તાવેજો હોવા છતાં પોલીસે BNSની કલમ 106 હેઠળ શંકાસ્‍પદ મિલકત ગણીને માલ જપ્ત કર્યો હતો અને મામલો કોર્ટ, સીજીએસટી, એસજીએસટી અને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્‍યો હતો.જપ્તી બાદ 19 મે થી 27 મે 2026 દરમિયાન અમૃત જવેલર્સના માલિક જીતેન્‍દ્ર આડેસરા, ઇન્‍ચાર્જ નૈમિષ આડેસરા, કર્મચારીઓ અને કાનૂની પ્રતિનિધિ સીએ જાતિન જાજલ રાયપુર ખાતે આવકવેરા તપાસ શાખા સમક્ષ હાજર રહ્યા હતા. રાજકોટ મનપા દ્વારા 1933 બોર્ડ-બેનર, 111 રેકડીઓ જપ્ત કરાઈ, રૂ. 5.91 લાખની વસુલાત રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 16થી 31 ના પખવાડિયા દરમિયાન શહેરના ત્રણેય ઝોનમાં વ્યાપક કામગીરી કરવામાં આવી હતી. જાહેર માર્ગો પર નડતરરૂપ 111 રેકડી-કેબીન અને જુદી-જુદી 391 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરાઈ હતી. આ ઉપરાંત કાલાવડ રોડ, જ્યુબિલી અને પરાબજાર સહિતના વિસ્તારોમાંથી 1981 કિલો શાકભાજી તેમજ ફળોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. શહેરના સેટેલાઈટ ચોક, મોરબી રોડ, કાલાવડ રોડ અને ગોંડલ ચોકડી સહિતના મુખ્ય માર્ગો પર આડેધડ લગાવવામાં આવેલા 1933 બોર્ડ-બેનરો હટાવી લેવાયા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન મનપા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી રૂ. 1.27 લાખનો મંડપ કમાન છાજલી ચાર્જ અને રૂ. 4.64 લાખનો વહીવટી ચાર્જ મળી કુલ રૂ. 5.91 લાખની વસૂલાત કરવામાં આવી હતી. રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવે પ્રોજેકટ માટે હવે પુરતો ઈંધણનો પુરવઠો ઉપલબ્ધ : કલેકટર રાજકોટથી જેતપુર વચ્ચે કરોડો રૂપિયાના મહત્વાકાંક્ષી સિક્સ-લેન હાઈવે પ્રોજેક્ટની ચાલતી કામગીરીમાં થોડા દિવસોથી ઇંધણની તંગીના કારણે બ્રેક લાગી હતી, જે પ્રશ્ન હવે વહીવટી તંત્રની મધ્યસ્થતા બાદ ઉકેલાઈ ગયો છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, રાજકોટ-જેતપુર હાઈવેના નિર્માણ કાર્યમાં રોજ હજારો લીટર પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે, કામ રાખનાર મોટા કોન્ટ્રાક્ટરો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી સીધું જ ઇંધણ ખરીદતા હોય છે, જેને ’કન્ઝ્યુમર પમ્પ્સ’ કહેવામાં આવે છે.તાજેતરમાં કન્ઝ્યુમર પમ્પ પર પેટ્રોલ- ડીઝલના ભાવો વધી ગયા હતા. આ જથ્થાબંધ ભાવો અને સામાન્ય જાહેર જનતા માટેના રિટેલ પમ્પના ભાવો વચ્ચે મોટો તફાવત સર્જાયો હતો. આથી, બચવા માટે હાઈવેના કોન્ટ્રાક્ટરો પોતાના કન્ઝ્યુમર પમ્પ છોડીને સ્થાનિક રિટેલ પેટ્રોલ પમ્પ્સ પરથી હજારો લીટર ઇંધણ ખરીદવા લાગ્યા હતા. આ અણધારી ખરીદીના કારણે સામાન્ય પમ્પ્સ પર ક્ષણિક લોડ વધી ગયો હતો અને ડિઝલ ખૂટી પડતાં હાઈવેની કામગીરીમાં થોડા સમય માટે વિલંબ થયો હતો. જોકે હાલ પરિસ્થિતિ સામાન્ય થઈ છે, અને હાઈવે પ્રોજેકટ માટે હવે પુરતો ઈંધણનો પુરવઠો ઉપલબ્ધ છે. રાજકોટ શહેર - જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ વખતે નાગરિકોને ઓનલાઈન પોર્ટલ દ્વારા સ્વગણતરીની સુવિધા અપાતા રાજકોટમાં 22,000 જેટલા લોકોએ જાતે નોંધણી કરાવી છે, જેમાંથી 20,000 લોકોએ હાઉસ ન્યુમરેશન ડિજિટલી પૂર્ણ કર્યું છે. આગામી 30 જૂન સુધી સર્વેયરો ઘરે-ઘરે જઈને ગણતરી કરશે, જેના માટે 5,85,800 હાઉસ હોલ્ડનો ટેન્ટેટિવ પ્લાન છે. કલેકટર ઓમપ્રકાશના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં 2928 બ્લોક્સ માટે 2982 ગણતરીદારો અને 494 સુપરવાઇઝર કાર્યરત છે. જ્યારે મહાનગરપાલિકામાં 3100 હાઉસિંગ બ્લોક્સ માટે 3528 ગણતરીદારો અને 606 સુપરવાઇઝર તૈનાત છે. આમ, સમગ્ર જિલ્લામાં કુલ 7610 ના મેન પાવર સાથે કામગીરી થઈ રહી છે. વસ્તી ગણતરીનો મુખ્ય અને બીજો તબક્કો 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે, જેમાં દેશમાં પ્રથમવાર જાતિ ગણતરી પણ કરવામાં આવશે. ભારતીય ટપાલ વિભાગમાં જીવન વિમા એજન્ટ બનવાની તક, 1 જુલાઈએ ઇન્ટરવ્યુ સીનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ રાજકોટ ડિવિઝન રાજકોટ દ્વારા ટપાલ જીવન વિમા ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તિ માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારો નિયત અરજી સાથે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. જે સીનીયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસની કચેરી, રાજકોટ ડિવિઝન, બીજો માળ, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ખાતે તા.1-7ના રોજ સવારે 11 કલાકે રાખવામાં આવેલ છે. ધો.10 પાસ 18 થી 50 વર્ષનાં ઉમેદવારોએ પોતાના બાયોડેટાની સાથો પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત તેમજ સર્ટીફીકેટ અને અનુભવનાં દાખલા ઓરીજીનલ તેમજ દરેકની ખરી નકલ સાથે લાવવાના રહેશે. રાજકોટનાં કોર્પોરેટરો કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની તાલીમ લેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે મેયર નેહલ શુકલના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત અને જૂના કોર્પોરેટરો માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ કોર્પોરેટરોને સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2026ના અમલીકરણ અંગે માહિતગાર કરવાનો છે. જેમાં સફાઇ, પર્યાવરણ રક્ષા, કચરાના વિભાજન (સેગ્રીગેશન), રીસાયકલ અને રિયુઝ સહિતની જવાબદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાશે. જેમાં રહેણાંક સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સંકુલો જેવા મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતા એકમોએ નિયમોનું પાલન કઈ રીતે કરવું તેની સમજણ પણ આપવામાં આવશે. કોર્પોરેટરો પોતાના વોર્ડના નાગરિકો સુધી આ સંદેશ પહોંચાડી જનજાગૃતિ લાવે તેવો આ પહેલનો મુખ્ય હેતુ છે.
Read Original Article →