રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો:હું અગાઉ પણ મર્ડર કરી ચુક્યો છું તારું પણ કરતા વાર નહિ લાગે, દુકાન ચલાવવી હોય તો મને પૈસા આપવા પડશે કહી દુકાનમાં તોડફોડ કરી

Gujarat5/27/2026, 11:05:37 AM
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો:હું અગાઉ પણ મર્ડર કરી ચુક્યો છું તારું પણ કરતા વાર નહિ લાગે, દુકાન ચલાવવી હોય તો મને પૈસા આપવા પડશે કહી દુકાનમાં તોડફોડ કરી
રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. કારણ કે આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઈ નિર્દોષ લોકોને રંજાડી રહ્યા હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે આવી જ વધુ એક ઘટના શહેરના 80 ફૂટ રોડ પર આવેલ અમૂલ સર્કલ પાસે બની છે જેમાં પાન અને ટી સ્ટોલની દુકાને લુખ્ખા શખ્સોએ આવી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો અને બાદમાં દુકાનદારને ધમકાવી અહીંયા દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે કહી રૂ.1200 બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. એટલું જ નહીં, દુકાનદારના ભાણેજને માર પણ માર્યો હતો. બનાવ અંગે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખસો સામે મારામારી, તોડફોડ અને ખંડણી ઉઘરાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજીડેમ ચોકડી પાસે સોમનાથ સોસાયટી શેરી નંબર 1માં રહેતા જયેશ ઉર્ફે લાલો ઇન્દુભાઇ કવાતર (ઉં.વ.36)નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોહિત ઉર્ફે બન્ની સુરેશભાઈ પરમાર, અજય કિરીટભાઈ ગોહેલ, હિતેન ઉર્ફે ડબ્બો કિરીટભાઈ ગોહેલ અને સુજલ સંજયભાઈ બથવારના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક સરવૈયા હોલમાં 'મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ' નામની દુકાન છે, જે દુકાનમાં તેમનો ભાણેજ કિશન રઘાભાઈ ડાભી કામ કરે છે. ગત તારીખ 24.05.2026ના રોજ રાત્રે 11 વાગ્યે યુવાન એસ.ટી. ડેપોની બાજુમાં મેલડી માતાજીના મંદિરે માંડવાના કામકાજમાં હતો દરમિયાન ભાણેજ કિશનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી દુકાને મોહિત ઉર્ફે બન્ની પરમાર આવ્યો છે અને મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી દુકાનમાં તોડફોડ કરે છે. જેથી યુવાન તાત્કાલિક દુકાને પહોંચ્યો હતો. ત્યારે મોહિત ત્યાં હાજર ન હતો તેણે ભાણેજ કિશનને પૂછતાં કિશને કહ્યું હતું કે, "હું અહીં દુકાને હતો ત્યારે મોહિતે મારી સાથે બોલાચાલી કરી, ગાળો આપી, ઝપાઝપી કરી હતી તેમજ દુકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું અને મને કહ્યું હતું કે તમારે અહીંયા દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે." બાદમાં ફરી રાત્રે 3 વાગ્યા આસપાસ મોહિતનો યુવાન પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આંબેડકર નગર શેરી નંબર13ના ખૂણે પાનની દુકાને આપણે બધા મળીને સમાધાન કરી લઈએ. જેથી યુવાન, તેનો ભાણેજ કિશન અને બાજુમાં આવેલી ડિલક્સ પાનવાળા અર્જુનભાઈ ડાંગર ત્રણેય ત્યાં ગયા હતા. ત્યારે ત્યાં મોહિત, અજય, હિતેન અને સુજલ હાજર હતા. દરમિયાન મોહિતે કહ્યું હતું કે, તું મને 1200 રૂપિયા આપ જેથી યુવાને કહ્યું હતું કે, મારી પાસે રોકડા રૂપિયા નથી. આ સાંભળી મોહિતે કહ્યું હતું કે, હું અગાઉ પણ મર્ડરના કેસમાં જેલમાં ગયો છું અને તારું પણ મર્ડર કરતાં મને વાર નહીં લાગે, જેથી તું મને રૂપિયા આપ. આથી ડરી જઈને યુવાને રૂ.1200 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આ શખ્સોએ યુવાનના ભાણેજ કિશનને પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવાન તથા તેનો મિત્ર વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ માર માર્યો હતો અને કહ્યું હતું કે, જો તમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જશો તો હું તમને જાનથી મારી નાખીશ. આ સમયે ડરીને પોલીસ ફરિયાદ ન નોંધાવતા ફરી બીજા દિવસે 25.05.2026ના રોજ બપોરના 1.30 વાગ્યે કિશન દુકાને હતો ત્યારે મોહિત ઉર્ફે બની ફરી અહીં આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. જેથી બાદમાં આ બાબતે યુવાને આ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં હાલ થોરાળા પોલીસે આરોપીઓ સામે BNSની કલમ 308(5), 324(2), 351(3), 352, 115(2) અને 54 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →