હનુમાનજીની ગદા લઈને બ્રિજનું લોકાર્પણ કરવાની આપની ચીમકી:કહ્યું- 'શુક્રવારે સાંઢિયાપુલનું લોકાર્પણ નહીં થાય તો શનિવારે જનતાના ચરણોમાં બ્રિજ સમર્પિત કરાશે'

Gujarat5/21/2026, 10:53:50 AM
હનુમાનજીની ગદા લઈને બ્રિજનું લોકાર્પણ કરવાની આપની ચીમકી:કહ્યું- 'શુક્રવારે સાંઢિયાપુલનું લોકાર્પણ નહીં થાય તો શનિવારે જનતાના ચરણોમાં બ્રિજ સમર્પિત કરાશે'
રાજકોટ શહેરના જામનગર હાઈવેને જોડતા અને વાહનચાલકો માટે અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટના લોકાર્પણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે રાજકોટ મ્યુનિસિપલ તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અને જણાવ્યું છે કે, મનપા દ્વારા આવતીકાલે લોકાર્પણ નહીં થાય તો શનિવારે હાથમાં ગદા લઈને હનુમાનજીના નામે બ્રિજ જનતા ચરણોમાં સમર્પિત કરાશે. બ્રિજ બનીને તૈયાર હોવા છતા લોકાર્પણ ન કરાતા આપનો વિરોધ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ-જામનગરને જોડતો આ મહત્વનો બ્રિજ, જે જૂનો સાંઢિયા પુલ હતો, તે ઘણા સમયથી બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ સત્તાધીશો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. ભાજપના ચૂંટાયેલા નેતાઓ પોતે મેયર બની જાય પછી આ બ્રિજનું લોકાર્પણ કરવાની ગોઠવણ કરે છે. ભાજપે આ બ્રિજ પોતાના ખિસ્સાના પૈસાથી નથી બનાવ્યો, રાજકોટની જનતાએ ભરેલા વેરાના પૈસામાંથી આ બ્રિજનું નિર્માણ થયું છે. ત્યારે જો આવતીકાલ સુધીમાં બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી આગામી શનિવારે હનુમાનજીનું નામ લઈને અને હાથમાં ગદા ધારણ કરીને ત્યાં પહોંચશે અને બ્રિજ ખુલ્લો મૂકી દેશે. તંત્રએ ગમે તેટલો જાપ્તો ગોઠવવો હોય એટલો ગોઠવી લે, પરંતુ આમ આદમી પાર્ટી પરમ દિવસે ત્યાં જઈને બ્રિજ ખુલ્લો મૂકશે કારણ કે ભાજપના શાસકોએ હનુમાનજીના ઘણા મંદિરો તોડી પાડ્યા છે. મીડિયાના માધ્યમથી કમિશનરને વિનંતી છે કે આવતીકાલે જ આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવે જેથી અમારે આવા પગલાં ન ભરવા પડે, અન્યથા પરમ દિવસે 'આપ' આ બ્રિજ ખુલ્લો કરાવશે તેવી ખુલ્લી ચેલેન્જ પણ તેઓએ આપી છે. મહાપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 74.25 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલા રાજકોટના આગામી 25 થી 30 વર્ષના ટ્રાફિક લોડને ધ્યાનમાં રાખીને આ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના (SJMMSVY) હેઠળ બની રહેલો આ આધુનિક બ્રિજ એન્જિનિયરિંગનો એક શ્રેષ્ઠ નમૂનો છે. અગાઉનો વર્ષો જૂનો પુલ અત્યંત જર્જરિત અને સાંકડો થઈ ગયો હોવાથી વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેથી તેને સંપૂર્ણપણે તોડીને તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે. 1,00,000 થી વધુ નાગરિકોને સીધો ફાયદો જામનગર રોડ એ રાજકોટ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી ત્યાં ચોવીસ કલાક વાહનોની ભારે અવરજવર રહે છે. આ નવો ફોરલેન બ્રિજ શરૂ થવાથી રાજકોટના વોર્ડ નંબર 1, 2 અને 3 ના રહેવાસીઓ સહિત રોજની મુસાફરી કરતા અંદાજે 1,00,000 થી વધુ વાહન ચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે. જેમાં પણ ખાસ કરીને નાગેશ્વર, ઘંટેશ્વર, એઇમ્સ (AIIMS) હોસ્પિટલ તરફ જતા દર્દીઓ અને મુસાફરો, શીતલ પાર્ક, માધાપર, રેલનગર અને પોપટપરા જેવા વિસ્તારના લોકોને હવે ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. આ પુલ શરૂ થવાથી માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક સુધીની અવરજવર અત્યંત ઝડપી, સલામત અને સરળ બની જશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ પુલ બંધ હોવાને કારણે એસ.ટી. બસો અને અન્ય તમામ ભારે વાહનોને શહેરના મુખ્ય આંતરિક માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને રૈયા ચોકડી થઈને 150 ફૂટ રિંગ રોડ ડાયવર્ટ કરવામાં આવતા હતા. આ ડાયવર્ઝનના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી ગયું હતું. હવે બ્રિજ ખુલ્લો થતાં આ તમામ ભારે વાહનો સીધા સાંઢિયા પુલ પરથી પસાર થશે, જેનાથી શહેરની આંતરિક ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે. જોકે આમ આદમી પાર્ટીના આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ જ સ્થાનિક રાજકારણનું કેન્દ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે.
Read Original Article →