RPFની પ્રશંસનીય કામગીરી:મે મહિનામાં 29 મુસાફરોને ખોવાયેલો સામાન પરત અપાવ્યો, વિખુટા પડેલા 2 બાળકો સહિત 4નું પરિવાર સાથે મિલન
રાજકોટ મંડળ રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મે 2026 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મુસાફરોની સુરક્ષા માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આઈજી અજય સદાની અને મંડળ સુરક્ષા આયુક્ત કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન અમાનત' અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાંથી મુસાફરોનો ખોવાયેલો કુલ 29 નાગરિકોનો અંદાજે 3,29,744ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પરત મેળવીને જે તે મુસાફરોને સુપરત કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર ચેઈન પુલિંગના 32 કેસ નોંધી 23 આરોપીઓની ધરપકડ
આ ઉપરાંત સામાજિક સુરક્ષા અંતર્ગત 'ઓપરેશન નન્હે ફરિશ્તે' હેઠળ 2 બાળકો અને 'ઓપરેશન ડિગ્નિટી' હેઠળ પરિવારથી વિખૂટા પડેલા 2 વ્યક્તિઓને શોધીને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા. ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા 'ઓપરેશન યાત્રી સુરક્ષા' હેઠળ ચોરીના 1 કેસમાં 1 આરોપી અને ટિકિટોની કાળાબજારી કરતા 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રેનોના સમયપાલનને અવરોધતા તત્વો સામે લાલ આંખ કરીને ગેરકાયદેસર ચેઈન પુલિંગના 32 કેસ નોંધી 23 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. લોકોને જાગૃત કરવા માટે સરપંચો અને સ્થાનિકો સાથે બેઠકો યોજી પથ્થરમારો અટકાવવા અને મહિલા સુરક્ષા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આરપીએફની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. રાજકોટમાં વસ્તી ગણતરીનાં કામમાં વિસંગતતા અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત
રાજકોટ જિલ્લામાં 1 જૂનથી શરૂ થયેલી વસ્તી ગણતરીની કામગીરીમાં વિસંગતતા અને અસમાન કાર્યભારને કારણે પ્રાથમિક શિક્ષકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ મામલે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશભાઇ રાખોલીયા, મહામંત્રી કિરીટસિંહ વાળા અને પુનિતભાઇ સવસાણીએ નિવાસી અધિક કલેકટર મુછારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. શિક્ષક સંઘના જણાવ્યા મુજબ, નિયમ વિરુદ્ધ 1200થી 1500ની વસ્તીવાળા મોટા બ્લોક ફાળવી દેવાયા છે અને એક જ ગણતરીદારને એકથી વધુ બ્લોકની જવાબદારી સોંપાઈ છે. અંતરિયાળ વિસ્તારોમાં મહિલા શિક્ષિકાઓની નિમણૂક કરાતા સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે. તદુપરાંત, શાળાઓમાં 80%થી 100% સ્ટાફ આ કામગીરીમાં રોકાઈ જતાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ગંભીર રીતે જોખમાયું છે. સંઘે તંત્ર પાસે તાલુકા અને જિલ્લા કક્ષાએ તાત્કાલિક ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી છે. મનપા દ્વારા 18 સ્થળે 750થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે શહેરના ત્રણેય ઝોનના તમામ વોર્ડ વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, વોર્ડ કમિટીના સભ્યો, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ, મેયર ડો. નેહલ શુક્લ,ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇન્ચાર્જ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદ, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા જોડાયા હતા. અને લોકોને પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી હતી. ભાદર-1 ડેમમાંથી ખેડૂતો માટે પ્રિ-ખરીફ સીઝનનું પાણી છોડવાનો પ્રારંભ
ચોમાસાની સીઝન નજીક આવી રહી છે ત્યારે ખેડૂતોની રજૂઆત અને માંગણીને ધ્યાને રાખીને રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના સૌથી મોટા ભાદર-1 ડેમમાંથી પ્રિ-ખરીફ સીઝન અંતર્ગત વિવિધ તાલુકાના ખેડૂતો માટે કેનાલ મારફતે પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગત તા.3 જૂનના રોજ સાંજે 5 કલાકે ભાદર-1 ડેમની કેનાલમાંથી પાણી વહેતું કરવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગના ઇજનેરી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રિ-ખરીફ સીઝન અંતર્ગત કુલ 1000 MCFT પાણીનો જથ્થો છોડવાનું આયોજન છે, જેનાથી અંદાજે 6000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડી શકાશે. સિંચાઈ વિભાગના ઇજનેરે જણાવ્યા અનુસાર, પાણીનો જથ્થો કુલ બે તબક્કામાં છોડવામાં આવશે, જેમાં દરેક તબક્કામાં 500-500 MCFT પાણી છોડાશે. ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવેલા સિંચાઈના પાણીનો સીધો ફાયદો જેતપુર, ધોરાજી, ઉપલેટા તેમજ જૂનાગઢ તાલુકાના 46 જેટલા ગામોના ખેડૂતોને મળશે, જેથી તેઓ ચોમાસા પૂર્વેના પાકનું વાવેતર સમયસર કરી શકશે.
Read Original Article →