ઇદની જાહેર રજામાં જનરલ બોર્ડની બેઠક:રાજકોટના લોકોને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, પદાધિકારીઓની વરણી થતાં વિકાસનાં કામો ઝડપી થશે
રાજકોટ મનપામાં તા. 28મેનાં રોજ ઇદની જાહેર રજા હોવા છતાં જનરલ બોર્ડની ખાસ બેઠક યોજાશે, જેમાં શહેરના લોકોને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ મળશે, અને આ વરણી થતાં જ અટકેલા વિકાસકામો અત્યંત ઝડપી બનશે. આ મહત્વપૂર્ણ બેઠક માટે મ્યુનિસિપલ કમિશનરના હુકમથી ઇન્ચાર્જ મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા પરિપત્ર જાહેર કરીને તમામ સભ્યોને સમયસર હાજર રહેવા સત્તાવાર જાણ કરવામાં આવી છે. રાજકોટ શહેરના પ્રજાલક્ષી કાર્યો અને વહીવટી પ્રક્રિયાને વેગ આપવા રજાના દિવસે પણ આ ખાસ બોર્ડ બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા ગત એપ્રિલ મહિનાની 28 તારીખે પરિણામો સાથે પૂર્ણ થઇ ગઇ હતી, અને તેના બરોબર 1 મહિના બાદ આ વરણીનો માર્ગ મોકળો થયો છે. ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત મુલાકાત ગોઠવાયેલી હોય રાજ્ય સરકારના મંત્રીઓ અને પ્રદેશના અગ્રણી નેતાઓ તેમાં વ્યસ્ત રહ્યા હતા, જેના કારણે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સમયસર મળી શકી નહોતી. જોકે લાંબી આંતરિક ચર્ચાઓ બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડક સહિતના મુખ્ય 5 પદાધિકારીઓના નામની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજકોટ વિધાનસભાની ચારેય બેઠકોના સમીકરણો અને જે તે વોર્ડના વિજેતા ઉમેદવારોની લાયકાત ધ્યાને લઇ આ નામો નક્કી કરાયા છે. આગામી 28 તારીખે પ્રદેશ કક્ષાએથી બંધ કવરમાં પસંદ કરાયેલા સક્ષમ પદાધિકારીઓના નામની યાદી શહેર સંગઠનના પ્રમુખને મોકલવામાં આવશે અને તેઓ સંકલનની બેઠકમાં આ નામોની સત્તાવાર જાહેરાત કરશે. ત્યારબાદ જનરલ બોર્ડની ખાસ બેઠકમાં વહીવટી વડા દ્વારા પદાધિકારીઓના નામની જાહેરાત કરીને તેનો વિધિવત ઠરાવ કરવામાં આવશે. આ ખાસ બોર્ડ બેઠકના એજન્ડા પર મુખ્ય 3 વહીવટી અને બંધારણીય પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સૌપ્રથમ મહાનગરપાલિકાનાં મેયરની ચૂંટણી કરવામાં આવશે. ત્યારબાદ, ડેપ્યુટી મેયરની અને બાદમાં મહાપાલિકાની આર્થિક ધરી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણુંક કરવામાં આવશે. રાજકોટના લોકો 1 મહિનાથી નવા લોકપ્રતિનિધિઓની વરણીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, કારણ કે ઉનાળાની આ સીઝનમાં પાણી, સફાઈ, રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓને લગતા અનેક પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે નવી પાંખ કાર્યરત બને તે અત્યંત જરૂરી છે. અગાઉ વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પણ મહાનગરપાલિકામાં પરિણામોના 18 દિવસ પછી પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે રાજકીય અને વહીવટી અનિવાર્યતાના કારણે મતગણતરીના બરાબર 1 મહિના બાદ પદાધિકારીઓની નિયુક્તિ થવા જઇ રહી છે. જેને લઈ હવે રજાના દિવસે પણ બોર્ડ બેઠક બોલાવીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા એ ગુજરાતના ચોથા સૌથી મોટા શહેરની વહીવટી સંસ્થા છે, જે આશરે 20 લાખથી વધુ વસ્તીને પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ્યારે વહીવટી સત્તા લોકપ્રતિનિધિઓના હાથમાં સોંપી ડેવામાં આવે છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ગતિશીલતા બમણી થઇ જાય છે. સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ) એ કોર્પોરેશનની સૌથી પાવરફુલ કમિટી છે જે કરોડો રૂ. ના વિકાસકામો અને ટેન્ડરોને મંજૂરી આપવાની આર્થિક સત્તા ધરાવે છે. આ સિવાય શાસકપક્ષના નેતા અને દંડક પક્ષના સભ્યો વચ્ચે સંકલન અને શિસ્ત જાળવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. નવા પદાધિકારીઓની વરણી થતાં જ અટકેલા ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા આઇકોનિક પ્રોજેક્ટ્સ અને બ્રિજ નિર્માણના કામોને આર્થિક મંજૂરીઓ મળવા લાગશે. રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી વહીવટી વડા દ્વારા રોજિંદી કામગીરીઓ ચલાવવામાં આવી રહી હતી, પરંતુ મોટા નીતિવિષયક નિર્ણયો જનપ્રતિનિધિઓની મંજૂરીની અપેક્ષા રાખતા હોય છે. રાજકોટના જુદા જુદા 18 વોર્ડના સ્થાનિક પ્રશ્નો માટે પ્રજા સીધી રીતે પોતાના ચૂંટાયેલા કોર્પોરેટરો સુધી પહોંચતી હોય છે. નવા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આવવાથી વહીવટી ફાઈલો પર મંજૂરીની મહોર ઝડપથી લાગશે અને સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ સમયમર્યાદામાં થઈ શકશે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા પ્રી-મોન્સૂન કામગીરીનું આયોજન પણ આ નવી ટીમ માટે પ્રથમ પડકાર સાબિત થશે.
Read Original Article →