રાજકોટના 23માં મેયર પદે નેહલ શુક્લની નિમણૂક:સ્વ. વિજયભાઈ રૂપાણી ઘરે જઈ આશીર્વાદ લીધા; અંજલીબેને વિજય તિલક કર્યું; ડે. મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટે. ચેરમેન પદે પરેશ પીપળીયાની વરણી

Gujarat5/28/2026, 8:21:09 AM
રાજકોટના 23માં મેયર પદે નેહલ શુક્લની નિમણૂક:સ્વ. વિજયભાઈ રૂપાણી ઘરે જઈ આશીર્વાદ લીધા; અંજલીબેને વિજય તિલક કર્યું; ડે. મેયર પદે દક્ષાબેન વસાણી અને સ્ટે. ચેરમેન પદે પરેશ પીપળીયાની વરણી
રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી વહીવટી પ્રક્રિયાનો અંત આવ્યો છે. મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેર રજાના દિવસે સામાન્ય સભા બોલાવીને નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના 23મા મેયર તરીકે ભાજપના સિનિયર નેતા સ્વ. ચીમનભાઈ શુક્લના પુત્ર ડૉ. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. આ સાથે જ 35મા ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી અને 35મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામ પર મહોર મારવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં 76 દિવસ અધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે. મેયર તરીકે નિમણૂત થતાં નેહલ શુક્લ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યાં હતાં અને તેઓની તસવીરને પગે લાગી આશીર્વાદ લીધા હતાં. આ સમયે વિજયભાઈના પત્ની અંજલીબેન રૂપાણીએ નેહલ શુક્લને વિજય તિલક કરી મો મીઠું કરાવ્યું હતું. મહત્વનું છે કે, રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણૂક માટે આટલું વિલંબ ક્યારેય થયું નથી. આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા-નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં નેહલ શુક્લએ બાજી મારી છે. નેહલ શુકલાએ છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપી હતી અને પોતે આખરી કલાકોમાં મેન્ડેટ મેળવ્યું હતું. એ જ રીતે આજે મેયર પદ પર પાટીદાર સમાજના લોબિંગને તોડી મેયર તરીકે પોતાનું નામ ફાઇનલ કરાવ્યું છે. છેલ્લી ઘડી સુધી ચાલ્યું લોબિંગ; બંધ બારણે બેઠક બાદ નામો જાહેર રાજકોટ મનપાની 2026ની ચૂંટણીમાં ભાજપે 65 બેઠકો પર ભવ્ય જીત મેળવીને સત્તા જાળવી રાખી હતી. જોકે, પદાધિકારીઓની નિમણૂકમાં અભૂતપૂર્વ વિલંબ થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. આજે સવારે 10 વાગ્યે મળેલી સંકલનની બેઠકમાં ભારે ગરમા ગરમી જોવા મળતા શહેર પ્રમુખ, ધારાસભ્યો અને મહામંત્રીઓએ 15 મિનિટ સુધી બંધ બારણે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક બાદ આખરી મેન્ડેટ જાહેર કરાયું હતું, જેમાં ડૉ. નેહલ શુક્લએ પાટીદાર સમાજના લોબિંગને તોડીને મેયર પદ મેળવવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત હિરેન ખીમાણીયાને શાસક પક્ષના નેતા અને સંજયસિંહ રાણાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મનપામાં વાહન ખર્ચમાં 70% કાપની નવનિયુક્ત મેયરની જાહેરાત પદભાર સંભાળતાની સાથે જ નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, નાનપણથી જ મારા પિતાને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. પક્ષે મને જવાબદારી આપી છે તે માટે મારા માતા-પિતાનાં ચરણમાં વંદન કરું છું. ગુજરાતના પનોતા પુત્ર સ્વ. વિજય રૂપાણી અને અંજલિબેનને પણ યાદ કરીને તેમના સ્નેહ અને પ્રેમની અપેક્ષાએ જવાબદારી સંભાળીશ. ઘણું કરવાનું છે અઢી વર્ષ રાજકોટની જનતા ભાજપ પાસે જે અપેક્ષા રાખી રહી છે તે પુરી કરવાનો પ્રયાસ કરીશું. આ માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા છે. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન મોદીએ યુદ્ધના કારણે કરકસરનાં પગલાં લેવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી સાહિતનાએ પણ વિવિધ પગલાં લીધા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વાહનનો ખર્ચ 70 ટકા ઘટાડવાની જાહેરાત કરું છું અને કોઈ લાંબો સમય પસાર કરવો નથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવ્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજકોટનાં વિકાસ માટે કામ શરૂ કરીશું. અંજલીબેને 'વિજય' તિલક કરી પીઠ થાબડી રાજકોટના નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લએ પદભાર સંભાળતાની સાથે સ્વ.વિજય રૂપાણીના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. ડો.નેહલ શુક્લએ સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને મળીને આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં અંજલીબેન રૂપાણીએ નવી જવાબદારી માટે ડો.નેહલ શુક્લને 'વિજય' તિલક કરીને તેની પીઠ થાબડી પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત સાથે જ રાજકોટના રાજકારણમાં શુક્લ તેમજ રૂપાણી પરિવારનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. શહેરમાં પહેલા ટિકિટ મેળવવા અંગે અને હવે સીધા મેયર પદ સુધીની સફરને લઈને ભારે ચર્ચાઓ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. RSSમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે રાજકોટના 23માં મેયર તરીકે સ્વ.ચીમનભાઈ શુકલાના પુત્ર નેહલ શુકલાની નિમણુંક કરવામાં આવી છે. ડો. નેહલ શુકલાએ Ph.D સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સંઘ પરિવારમાંથી આવતા હોવાથી તેઓ RSSમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે. યુવાવસ્થામાં ABVPથી કારકિર્દી શરૂ કરી હતી જેમાં 1995 દરમિયાન રાજકોટના સહમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. 2005થી સક્રિય સભ્ય તરીકે ભાજપ સાથે જોડાયેલા છે જેમાં તેમને 2012થી 2016 સુધી ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી આ પછી 2016થી 2020 ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન જસદણ વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી હતી. 20 વર્ષ સિન્ડિકેટ સભ્ય અને એકેડેમિક કાઉન્સિલ સભ્ય તરીકે જવાબદારી નિભાવી જયારે ઉત્તરાખંડની ચૂંટણીમાં પણ તેઓએ સિતારગજ અને કીરછા બેઠકના ઇન્ચાર્જ રહ્યા હતા. રાજકોટ મહાનગર પાલિકામાં સતત બીજી ટર્મ તેઓ કોર્પોરેટર પદે ચૂંટાઈ આવ્યા છે, જેમાં પાછલા 5 વર્ષ તેઓ સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યં છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી 2002માં માત્ર 24 વર્ષની ઉંમરે સિન્ડિકેટ સભ્યે ચૂંટાયા હતા અને સતત 20 વર્ષ સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાઈ એકેડેમિક કાઉન્સિલ સભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી. તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્ય તરીકે 10 વર્ષ કાર્ય કરી ચુક્યા છે.
Read Original Article →