હનુમાનજીનાં ફોટા અને ગદાઓ સાથે અનોખો વિરોધ:રાજકોટ મનપા દ્વારા થયેલા મંદિરનાં ડિમોલિશનને લઈ ત્રિકોનબાગે કોંગ્રેસનાં ધરણા, કહ્યું- ધાડપાડુઓની જેમ ભાજપનાં ઈશારે તંત્ર ત્રાટક્યું
રાજકોટ મનપા દ્વારા ગુરૂવારે રાત્રે 12 જેટલા મંદિરોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાનમાં આવી છે. આજે શહેરનાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ભગવાન હનુમાનજીનાં ફોટાઓ અને પ્લાષ્ટીકની ગદાઓની સાથે રામધૂન બોલાવી 1 કલાકના ધરણા કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ભગવાન રામનાં નામે મત લઈને વિજય મેળવનાર ભાજપે કામની શરૂઆત હનુમાનજીનાં મંદિર તોડવાથી કરી છે. ત્યારે લોકોએ આ મુદ્દે જવાબ માંગવો જોઈએ. ભાજપના ઈશારે આ તંત્ર ધાડપાડુઓની જેમ મોડીરાત્રે ત્રાટક્યું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ અડધી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં હનુમાનજીની દેરીઓ અને મંદિરોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના બહાના હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે. કેન્દ્ર, રાજ્ય અને રાજકોટ મહાપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે માત્ર રામના નામે મત માંગે છે અને બીજી તરફ રાજકોટની જનતાની આસ્થા સાથે જોડાયેલા મંદિરો તોડી રહી છે. ડેવલપમેન્ટ માટે જો ડિમોલેશન કરવું હોય, તો ધર્મના ગુરુજનો તેમજ સોસાયટીના લોકો અને સ્થાનિકોને વિશ્વાસમાં રાખીને કરવું જોઈએ. પરંતુ આ તંત્ર દ્વારા કોઈને પણ જાણ કર્યા વગર, અડધી રાત્રે ધાડપાડુની જેમ મંદિરો હટાવવાનું કામ કરવામાં આવ્યું છે. હનુમાન દાદાના મંદિરો તોડીને તંત્ર શું સાબિત કરવા માંગે છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. રાજદીપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી સમયે લોકપ્રતિનિધિઓએ લોકો પાસે જઈને મત માંગ્યા ત્યારે આ બાબતે કેમ કોઈ વાત ન કરી? ચૂંટણી પતતાની સાથે જ લોકોની આસ્થા પર પ્રહાર કરવામાં આવ્યો છે. લોકશાહીમાં બંધારણે આપેલા હક મુજબ રાજકોટની જનતાએ પોતાના પ્રતિનિધિઓ, ધારાસભ્ય કે સંસદ સભ્યને ફોન કરીને પૂછવું જોઈએ કે અડધી રાતે હનુમાન દાદાનું મંદિર પાડવાનું કારણ શું છે. હજુ પણ અન્ય મંદિરો પર ડિમોલેશન કરવાની તંત્રની ગણતરી છે. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા પછી ભાજપ સરકારે પહેલું વહેલું કામ હિન્દુ વિરોધી કર્યું છે.
આ આંધળા તંત્રની આંખ ખુલે અને રાજકોટમાં આસ્થા સમાન મંદિરોનું ડિમોલેશન અટકે તે માટે ત્રિકોણ બાગ ખાતે સર્વ ધર્મ સંભાવ વતી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોઈપણ ધર્મનું સ્થાનક હોય, તેનું ડિમોલેશન કરતા પહેલા ધર્મગુરુઓ અને આગેવાનો સાથે ચર્ચા થવી જરૂરી છે. તંત્રએ રાત્રિના સમયે ચોરની જેમ આવીને વોર્ડ નંબર 8, વોર્ડ નં 11 અને વોર્ડ નંબર 12 સહિતના અલગ-અલગ વિસ્તારોમાં 13 જેટલા મંદિરોને નુકસાન પહોંચાડીને દૂર કર્યા છે. ચૂંટણીમાં લોકસંપર્ક કરનારા તમામ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે પ્રજાની વેદના સમયે ભૂગર્ભમાં સંતાઈ ગયા છે. જોકે કોંગ્રેસ ક્યારેય બેધારી નીતિથી ચાલતી નથી. રાત્રે પણ જ્યાં સંપર્ક થયો ત્યાં રૂબરૂ મુલાકાત લીધી છે અને આગામી સમયમાં જ્યારે પણ રાજકોટની જનતા બોલાવશે ત્યારે કોંગ્રેસી તરીકે નહીં, પણ એક હિન્દુ તરીકે લોકોની વચ્ચે ઊભા રહીશું. ઉલ્લેખનીય છે કે, મનપા તંત્ર દ્વારા ગુરૂવારે રાત્રે કુલ 8 હનુમાનજીનાં મંદિરો સહિત 12 જેટલા મંદિરોનું પોલીસ કાફલાને સાથે રાખી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિકો દ્વારા વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એકમાત્ર મવડી વિસ્તારમાં લોકોએ પોતાની રીતે મંદિર ખસેડવાની ખાતરી આપતા ત્યાનું ડિમોલિશન કરાયું નહોતું. બાકી કોઈ જગ્યાએ લોકોનો વિરોધ ચાલ્યો નહોતો અને તંત્ર દ્વારા ડિમોલિશન કરાયું હતું. મનપા તંત્રની આ કામગીરીને લઈ અનેક લોકોની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી રોષની લાગણી છે. આ રોષને વાચા આપવા કોંગ્રેસ દ્વારા ધરણા કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
Read Original Article →