રાજકોટમાં મનપાએ ખોદેલા ખાડામાં તેનો જ ટ્રક ફસાયો:અમીન માર્ગ પર રેલવે ફાટક પાસે ડ્રેનેજ શાખાનો ટ્રક ખાડામાં ખૂંપી ગયો

Gujarat6/6/2026, 7:21:48 AM
રાજકોટમાં મનપાએ ખોદેલા ખાડામાં તેનો જ ટ્રક ફસાયો:અમીન માર્ગ પર રેલવે ફાટક પાસે ડ્રેનેજ શાખાનો ટ્રક ખાડામાં ખૂંપી ગયો
રાજકોટમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં તેનો જ ટ્રક ફસાઈ ગયો હતો. શહેરના અમીન માર્ગ ઉપર પાઇપલાઇનના કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જે બાદ ત્યાં રેતી અને કપચી પાથરવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી આ કામગીરી ચાલી રહી હતી જોકે આ દરમિયાન આજે 6 જૂનના સવારે મહાનગરપાલિકાનો ડ્રેનેજ શાખાનો ટ્રક અહીંથી નીકળતા ખાડામાં ખૂંપી ગયો હતો અને બપોર સુધી આ જ પરિસ્થિતિ રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો ટ્રાફિકથી પરેશાન થઈ ગયા હતા. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટના અમીન માર્ગના કોર્નર ઉપર રેલવે ફાટકની સામે પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ અહીં છેલ્લા ચાર દિવસથી આ જ પરિસ્થિતિ છે. કોઈપણ પ્રકારનું બેરીકેટ લગાવવામાં આવ્યું નથી. જેથી રાજકોટ મહાનગરપાલિકાનું વાહન જ ખાડામાં ફસાઈ ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ મોન્સૂન કામગીરી કરે છે તે આવકારદાયક છે પરંતુ જે જગ્યાએ કામ થાય ત્યાં બેરીકેટ લગાવવું અને તે પછી સમારકામ કરી મૂળ સ્થિતિમાં રસ્તાને રાખવો તે મહાનગરપાલિકાના સતાધીશોની જવાબદારી છે. માત્ર રીલ્સ અને ફોટાઓ મૂકી વાહવાહી મેળવવી તે કોઈ ઉપલબ્ધિ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકામાં લોકોએ તમને જનાદેશ આપી ચૂંટ્યા છે તો ફિલ્ડ ઉપર પણ ઉતરો. આજે અહીં એસ્ટ્રોન ચોક પાસે રાજકોટ મહાનગરપાલિકાનું ખટારો ફસાયો છે અને આ જગ્યાએ કોઈ રાહદારીની ગાડી કે એમ્બ્યુલન્સ ફસાઈ હોય તો ગંભીર ઇજા પણ થઈ શકે છે. અગાઉ આ પ્રકારના ખાડાઓને કારણે લોકો મોતને પણ ભેટ્યા છે. આ પ્રકારની સ્થિતિ માત્ર અહીં જ નહીં પરંતુ આખા રાજકોટ શહેરમાં જોવા મળે છે. અમે માન નગરપાલિકાને ચેતવણી આપીએ છીએ કે જો આ વખતે પણ રસ્તાઓની સ્થિતિ ખરાબ હશે તો અમે મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું અને રસ્તા પર પણ ઉતરીશું. જ્યારે રાહદારી મહેશ બુધવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તે ખાડો ખોદવામાં આવ્યો તેમાં તેનો જ ટ્રક ફસાઈ ગયો છે તે તો ભ્રષ્ટાચારનો વિકાસ કહેવાય. ચોમાસું હજુ આવવા દો વરસાદના હિસાબે આના કરતાં પણ વધુ મોટા ખાડા પડવાના છે. રસ્તાઓનો કોઈ લેવલિંગ નથી અને કોઈ ક્વોલિટી નથી માત્ર ભ્રષ્ટાચારની જ ક્વોલિટી છે. કાચા રસ્તાને લીધે ટ્રક ફસાયો, એજન્સીને નોટિસ અને દંડ થશે: મેયર મેયર ડૉ.નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, દોઢ કલાક પહેલા જ સોશિયલ મીડિયા અને માધ્યમથી અને આ ઘટનાની જાણ થઈ છે જેથી સંલગ્ન અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતા. બે દિવસ પહેલા ત્યાં નળની લાઈન લીકેજ હતી અને તેને કારણે ત્યાં કામગીરી થઈ હતી પરંતુ ત્યારબાદ રેતી અને કપચીથી ખાડો બુરવામા આવતા રસ્તો કાચો હતો. પરંતુ જે કામ જેવી રીતે થવું જોઈએ તે રીતે થયું નથી તે વાસ્તવિકતા છે. જેથી આ કામ કરનારી પાર્ટીને નોટિસ આપી પેનલ્ટી આપવા માટે જણાવ્યું છે. પ્રિ મોન્સૂન કામગીરીમાં આપણને એ ખ્યાલ જ હોય છે કે કઈ જગ્યાએ પાણી ભરાય છે. કોઈ નવી જગ્યાનું સર્જન થતું નથી. જેથી કઈ જગ્યાએ વરસાદી પાણી ભરાય છે તે જગ્યાએ કોર્પોરેશનના બબ્બે કર્મચારીઓને ફરજ પર મૂકવાના છીએ. ચાલુ વરસાદે કોર્પોરેશનના એન્જિનિયર સહિતના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ મોનિટરિંગ કરશે.
Read Original Article →