રાજકોટમાં ધીરેન્દ્રશાસ્ત્રીની કથા પૂર્વે કળશ યાત્રા નિકળી:રેસકોર્સ મેદાનમાં સનાતન સેતુ હનુમાન કથા માટે શહેરના 11 ઝોનમાં પગપાળા પહોંચી આમંત્રણ અપાયુ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા.5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્રકુમાર શાસ્ત્રીની સનાતન સેતુ હનુમાન કથાનું આયોજન કરાયું છે અત્યારે તે પૂર્વે આજે તા.4 જૂનના મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાબા બાગેશ્વરધામ ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા 11 અક્ષત કળશો ખાસ રાજકોટ લાવવામાં આવ્યા હતા. જે કળશ યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને શોભાયાત્રા દરમિયાન તમામને અક્ષત (ચોખા) આપવામાં આવ્યા હતા. આ કળશ ખીરસરાના સંત ભક્તિ પ્રકાશ સ્વામીના હસ્તે ઝોન વાઇસ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર કળશોનું શહેરના વિવિધ 11 ઝોનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને ઝોન વાઇઝ કળશ યાત્રાઓ યોજાઈ હતી. કથા નિમિતે સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે વિવિધ ઝોનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્વજ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને આધ્યાત્મિક સંદેશો દ્વારા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના વિવિધ ઝોનમાં યાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં ઝોન-1 માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ, હવેલી ચોક, ઝોન - 2 માં બાપાસીતારામ ચોક, હરીદર્શન સ્કૂલ સંસ્કાર સીટી પાછળનો ૮૦નો રોડ મટુકી ચોકથી પાણીનો ટાંકોથી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી, કોઠારીયા રોડ. ઝોન-3 માં રૈયા રોડ રાધેશ્યામ ગૌશાળા-શીતલ પાર્ક, ઝોન-4 માં સંકીર્તન મંદિર-કાલાવડ રોડ, ઝોન-5 માં સાધુ વાસવાણી રોડ-આજુબાજુનો વિસ્તાર, ઝોન-6 માં પોપટપરા-વાલ્મિકી નગર, ઝોન-7 માં બોલબાલા મેઇન રોડ, ગુંદાવાડી મેઈન રોડ, ઝોન-8 માં રેલનગર વિસ્તાર, ઝોન-9 માં રણછોડનગર વિસ્તાર, ઝોન-10 માં કોઠારીયાગામ, રણુજા મંદિર આજુબાજુનો વિસ્તાર અને ઝોન-11 માં ચમત્કારિક હનુમાનજી મંદિર, સોરઠીયા વાળી મેઇન રોડ, હુડકો વિસ્તારમાં કળશ યાત્રા નિકળી હતી.
Read Original Article →