વધુ વળતર અને શેર મેળવવાની લાલચમાં કરોડો ગુમાવ્યા:રાજકોટના દંપતીએ વેપારી પતિ-પત્ની અને પરિવારજનો સાથે કંપનીમાં રોકાણની લાલચે 6.18 કરોડ પડાવી છેતરપિંડી આચરી
રાજકોટ શહેરમાં રોકાણ પર ઊંચા માતબર વળતર અને કંપનીના શેર (Shares) આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના ગરનાળા ગામમાં આવેલી ‘કામ્યા ટેક્ષટાઈલ્સ પ્રાઇવેટ LId.’ કંપનીના સંચાલક દંપતીએ પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા એક વેપારી પરિવાર, તેમના સગાં અને મિત્રો પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ. 6 કરોડ 18 લાખ 50 હજાર મેળવી લઈ બદલામાં કોઈ વળતર કે શેર ન આપી વિશ્વાસઘાત કર્યો છે. આ મામલે રાજકોટ બી-ડિવિઝન પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાપારી ઓળખાણનો લાભ ઉઠાવી 2થી 3% વળતરની લાલચ આપી
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, રાજકોટના પેડક રોડ પર આવેલા રણછોડનગરમાં રહેતાં અને ‘રૈયારાજ એન્ડ કંપની’ના નામે પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરતાં જલ્પાબેન રૈયાણી (ઉં.વ. 48) એ ફરિયાદ નોંધાવી છે. તેમના પતિ જીતેન્દ્રભાઈ રૈયાણી નવાગામ આણંદપુર ખાતે પોતાની પેઢીનું સંચાલન કરે છે. જીતેન્દ્રભાઈને નાના મવા રોડ પર ક્રિસ્ટલ હોસ્પિટલ પાસે, દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ ધીરજલાલ સાવલીયા સાથે મિત્રતા અને વ્યવસાયિક ઓળખાણ હતી. દિવ્યેશ મૂળ ગોંડલના કોલીથડ ગામનો વતની છે અને ગરનાળા ગામે ‘કામ્યા ટેક્ષટાઈલ્સ’ નામે પેઢી ચલાવે છે, જેમાં તેની પત્ની નિલમબેન સાવલીયા પણ ડાયરેક્ટર તરીકે જોડાયેલી છે. દિવ્યેશ સાવલીયાને પોતાની ટેક્ષટાઈલ્સ કંપનીના વિકાસ માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે જીતેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો અને લાલચ આપી હતી કે, જો તેઓ તેની પેઢીમાં રોકાણ કરશે તો દર મહિને 2થી 3% જેટલું માતબર વળતર ચૂકવવામાં આવશે. આ વાત પર વિશ્વાસ મૂકીને જલ્પાબેને વર્ષ 2023માં પોતાના HDFC બેંક ખાતામાંથી દિવ્યેશના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં મે મહિનામાં અલગ-અલગ તારીખે કુલ રૂ.10 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે વળતરની ઉઘરાણી કરવામાં આવી ત્યારે દિવ્યેશે બહાનુ કાઢ્યું હતું કે બધું વળતર એકસાથે ચૂકવી દેશે. વર્ષ 2025માં કંપનીના શેરના નામે નવો દાવ ખેલ્યો
ત્યારબાદ વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં દિવ્યેશે નવો દાવ ખેલ્યો હતો. તેણે જીતેન્દ્રભાઈને જણાવ્યું કે, તમે જે રોકાણ કર્યું છે તે અને અન્ય વધારાના નાણાં જો કંપનીમાં જમા કરાવશો, તો તે પોતાની કંપનીના શેર તમારા નામે કરી આપશે. આ લાલચમાં આવીને રૈયાણી દંપતીએ ફેબ્રુઆરી 2022 દરમિયાન અલગ-અલગ તારીખોએ વધુ રૂ. 35 લાખ બેંક મારફત દિવ્યેશના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ, વર્ષ 2023થી 2025 દરમિયાન દંપતીએ કુલ રૂ. 45 લાખ બેંકિંગ ચેનલથી ચૂકવ્યા હતા. બેંક એકાઉન્ટ ઉપરાંત રૂ.4 કરોડ રોકડા પડાવ્યા
છેતરપિંડીનો આંકડો અહીં જ અટકતો નથી કારણ કે બેંક મારફત ચૂકવાયેલા રૂ. 45 લાખ ઉપરાંત, જીતેન્દ્રભાઈ રૈયાણીએ દિવ્યેશ સાવલીયાને વિશ્વાસના આધારે અલગથી રૂ.4 કરોડ રોકડા પણ આપ્યા હતા. દિવ્યેશે આ રોકડા રૂપિયાના બદલામાં કંપનીના 40 ટકા શેર આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ લાંબો સમય વીતવા છતાં ન તો શેર આપ્યા કે ન તો રોકડા રૂપિયા પરત કર્યા. આ દરમિયાન જીતેન્દ્રભાઈના એક અન્ય મિત્ર અલ્તાફભાઈ પાસેથી પણ દિવ્યેશે રોકડા રૂ.5 કરોડ મેળવ્યા હતા અને તેમને કાગળ પર લખાણ કરી 10% શેર આપ્યા હતા, પરંતુ ફરિયાદીના પરિવારને કશું જ મળ્યું નહોતું. સગાં-સંબંધીઓ અને મિત્રોને પણ સપડાવ્યા
દિવ્યેશ સાવલીયા અને તેની પત્ની નિલમબેનની આ કરતૂતમાં ફરિયાદીના સગાં અને મિત્રો પણ સપડાયા હતા: રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસીયા (સગા): તેમની પાસેથી કંપનીમાં રોકાણ અને શેર આપવાના બહાને કુલ રૂ. 2,05,50,000 મેળવી લીધા હતા. જેમાંથી માત્ર રૂ. 62 લાખ વળતર પેટે પરત આપ્યા હતા અને બાકીના રૂ. 1,43,50,000 પચાવી પાડ્યા હતા. કલ્પેશભાઈ જયસુખભાઈ માલકીયા (મિત્ર): તેમને પણ કામ્યા ટેક્ષટાઈલ્સમાં રોકાણ સામે શેર આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂ. 30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, જેનું કોઈ વળતર કે હિસ્સો આપવામાં આવ્યો ન હતો. પૈસા લીધા બાદ આરોપી દંપતીએ કંપનીનો કોઈ હિસાબ આપ્યો ન હતો કે ઓડિટ રિપોર્ટ પણ બતાવ્યો ન હતો જેથી આખરે પોતાની સાથે મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં જલ્પાબેન જીતેન્દ્રભાઈ રૈયાણીએ રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી દંપતી દિવ્યેશ સાવલીયા અને નિલમબેન સાવલીયા વિરૂદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →