પેટ્રોલમાં ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો વધારો:સ્થાનિકે કહ્યું- જનતાને ઈંધણ બચાવવાની સલાહ, પણ મંત્રીઓના કાફલામાં અઢળક લિટરનો ધુમાડો થાય છે એનું શું ?
સરકાર દ્વારા આજે વહેલી સવારથી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં રૂ. 3નો ઓચિંતો વધારો કરવામાં આવ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી અમલમાં આવેલા વધારાને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે દિવ્ય ભાસ્કરે લોકો સાથે વાતચીત કરી તેઓની પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કર્યો હતો. એક નાગરિકે સવાલ ઉઠાવ્યો હતો કે, જનતાને પેટ્રોલ બચાવવાની સલાહ અપાય છે, પણ મંત્રીઓના કાફલામાં અઢળક લિટરનો ધુમાડો થાય છે એનું શું? તો અન્ય નાગરિકે પેટ્રોલનાં ભાવ ટૂંક સમયમાં 100 થવાની શક્યતા પણ વ્યકત કરી હતી. આ ભાવ વધારાથી તમામ વસ્તુ મોંઘી થશેઃ બિટ્ટુ ગાંધી
આ અંગે પોતાનો પક્ષ રાખતા બિટ્ટુ ગાંધીએ જણાવ્યું કે, પેટ્રોલ એ દરેક વ્યક્તિની દૈનિક જરૂરિયાત છે અને તેના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન અને કુરિયર ચાર્જ સહિતની તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થશે. તેમણે સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, એકતરફ જનતાને પેટ્રોલ બચાવવાની અને સોનું ન ખરીદવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ મંત્રીઓના કાફલામાં જે રીતે અઢળક લિટર પેટ્રોલનો ધૂમાડો કરવામાં આવે છે, તેનો કોઈ હિસાબ લેવામાં આવતો નથી. ‘સામાન્ય જનતા માટે આર્થિક બોજ સમાન’
મંત્રીઓના કાફલા પાછળ થતા ઈંધણના ખર્ચને તેમણે ચર્ચાનો વિષય ગણાવ્યો હતો અને જણાવ્યું કે, પેટ્રોલના ભાવમાં થયેલો વધારો મધ્યમ વર્ગના લોકોના ઘરના બજેટ પર અત્યંત ખરાબ અસર પાડશે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે પેટ્રોલના ભાવમાં આ પ્રકારનો ઝીંકાયેલો વધારો સામાન્ય જનતા માટે આર્થિક બોજ સમાન સાબિત થઈ રહ્યો છે. મોંઘવારીમાં સામાન્ય માણસ માટે ઘર ચલાવવું પણ મુશ્કેલઃ નિલાબેન
નિલાબેન નામના નાગરિકે કહ્યું કે, તાજેતરમાં દુધના ભાવોમાં વધારો થયો હતો. તેમજ આજે પેટ્રોલના ભાવમાં પણ અચાનક વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને દૂધના ભાવમાં વધારો થવાથી સામાન્ય જનતાના બજેટ ખોરવાયા છે. હાલના સમયમાં પેટ્રોલ અને રાંધણ ગેસ જેવી તમામ પાયાની જરૂરિયાતોના ભાવ આસમાને પહોંચ્યા છે, તો તેના ઉપર સરકારે તાત્કાલિક ધ્યાન આપીને જનતાને રાહત આપવી જોઈએ. પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે કે અગાઉ રૂ. 100માં જે 1 લિટરથી વધુ પેટ્રોલ મળતું હતું, તે હવે 1 લિટર કરતાં પણ ઓછું મળી રહ્યું છે. આ સતત વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને મધ્યમ વર્ગના ઘરના બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. પેટ્રોલનો ભાવ રૂ.100 ને પાર જશેઃ નરેશભાઈ
નરેશભાઈ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પેટ્રોલના ભાવ વારંવાર વધતા જાય છે, જેના કારણે ગરીબ માણસ માટે પેટ્રોલ પુરાવવું મુશ્કેલ બની ગયું છે. એક તરફ પહેલેથી જ મંદીનો માહોલ છે, તેમાં પણ પેટ્રોલના ભાવમાં ફરી રૂ. 3નો વધારો થતા સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. હાલ જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા આગામી સમયમાં પેટ્રોલના ભાવ રૂ. 100 સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. આ ભાવ વધારાની ગંભીર અસર સામાન્ય લોકોના જીવન પર પડશે અને મધ્યમ તેમજ ગરીબ વર્ગ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે.
Read Original Article →