સૌરાષ્ટ્ર-કચ્છનાં બ્લડ કેન્સરનાં દર્દીઓને મળશે લાભ:રાજકોટ કેન્સર હોસ્પિટલમાં પ્રથમ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને હેમેટોલોજી કેર સેન્ટર કાર્યરત, નજીવા દરે મળશે આધુનિક સારવાર
રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ) ખાતે 'પ્રોજેક્ટ રક્તજ્યોતિ' નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે પ્રથમવાર સંપૂર્ણ સમર્પિત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, સેલ્યુલર થેરાપી સાથેનું હેમેટોલોજી કેર સેન્ટર (લોહીના કેન્સરના રોગોનો વિભાગ) શરૂ કરાયું છે. આ પ્રોજેક્ટ હોસ્પિટલના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ગૌરાંગ સંઘવીના નેતૃત્વ, જે.જે.કલારિયા અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન તથા મેડિકલ ડિરેક્ટર ડો. ખ્યાતિ વસાવડાના અથાગ પરિશ્રમથી સાકાર થયો છે. આ કેન્દ્ર શરૂ થતાં હવે દર્દીઓને સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે સુરત જેવા શહેરોમાં જવાની જરૂરિયાત ઓછી રહેશે. આ અદ્યતન વિભાગનું નેતૃત્વ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. નિરાલી ચંદન સંભાળશે. તેમની ટીમમાં ડો. મહર્ષિ ત્રિવેદી, ડો. કેવલ કાલાવડિયા, ડો. અદિતી થાનકી અને ડો. પૂજા તન્ના સહિત નિષ્ણાત નર્સિંગ સ્ટાફ સેવા આપશે. આ કેન્દ્રમાં લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયેલોમા, એપ્લાસ્ટિક એનિમિયા, થેલેસેમિયા, સિકલ સેલ અને હિમોફિલિયા જેવા લોહીના ગંભીર રોગો તથા બ્લડ કેન્સરનું સચોટ નિદાન અને સારવાર મળશે. છેલ્લા 1 મહિનાથી શરૂ થયેલા આ સેન્ટરમાં 1 દર્દીની સફળ સારવાર પણ કરવામાં આવી છે. અમદાવાદ અને બરોડા પછી રાજકોટમાં આ પ્રકારનો પ્રથમ વિભાગ શરૂ થયો છે. રાજકોટમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ, સ્ટે. ચેરમેન પીપળીયાએ પ્રદ્યુમન પાર્ક ઝૂ બહાર સફાઈ કરી વડાપ્રધાન મોદીના ‘સ્વચ્છ ભારત વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ ‘સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટીક ફ્રી ગુજરાત’ ઝુંબેશ અંતર્ગત રાજકોટમાં તા. 8 થી 14-6 દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા શહેરના તમામ 18 વોર્ડ વિસ્તારોમાં વ્યાપક સફાઈ અને પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ પ્રદ્યુમન પાર્ક ઝૂ બહાર શ્રમદાન કરી સફાઈ કામગીરી હાથ ધરી હતી અને લોકોને પ્લાસ્ટિકમુક્ત શહેર બનાવવા પ્રેરણા આપી હતી. આ વિશેષ સ્વચ્છતા અભિયાનમાં પદાધિકારીઓ, કોર્પોરેટરો, હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કામદારો તેમજ સ્થાનિક નાગરિકો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બગીચાઓ અને બજાર વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાનું સંગ્રહ કાર્ય હાથ ધરાયું હતું. ઝુંબેશ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતી પર્યાવરણીય હાનિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા અંગે જાગૃતિ લાવી લોકોને કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. આ સપ્તાહ દરમિયાન રેલી, શપથવિધિ અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે. કોટેચા સર્કલ કાર ચાલકો માટે બંધ, મહિલા કોલેજ અંડરબ્રિજ ફરીને જવું પડશે રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કોટેચા સર્કલ ખાતે ટ્રાફિકના ભારણને નિયંત્રિત કરવા માટે મોટો ફેરફાર કરાયો છે. નવા નિયમ મુજબ હવેથી નિર્મલા રોડ પરથી કાલાવાડ રોડ તરફ આવતા કાર ચાલકો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ટુ-વ્હીલર ચાલકો માટે પસાર થવાની છૂટ યથાવત રાખવામાં આવી છે. નિયમનો કડક અમલ કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા કોટેચા સર્કલ આસપાસ મજબૂત બેરીકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, હનુમાન મઢી તરફથી નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને આવતા ફોર-વ્હીલર ચાલકો હવે સીધા કોટેચા સર્કલ તરફ જઈ શકશે નહીં. આ કાર ચાલકોએ હવે મહિલા અંડરબ્રિજ તરફથી ડાયવર્ઝન લઈને લાંબો ફેરો કરવો પડશે. પીક અવર્સ દરમિયાન ફોર-વ્હીલર વાહનોના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોવાથી આ પ્રતિબંધ મુકાયો છે. રાજકોટમાં રોગચાળાના 1193 કેસ, તંત્રના ચોપડે ઘટાડો પણ સ્થિતિ ચિંતાજનક રાજકોટ શહેરમાં ગત અઠવાડિયામાં ડેંગ્યુના 1 કેસ સહિત રોગચાળાના કુલ 1193 કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય શાખાના રેકર્ડ મુજબ તા. 1-6 થી 7-6 સુધીમાં શરદી-ઉધરસના 446, સામાન્ય તાવના 514, અને ઝાડા-ઉલ્ટીના 219 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ નોંધાતા પાણીજન્ય રોગચાળો પણ યથાવત રહ્યો છે. મનપાના ચોપડે કેસો ઘટતા દેખાયા છે પરંતુ વાસ્તવમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મચ્છરોનો ઉપદ્રવ ડામવા મહાનગરપાલિકા દ્વારા સપ્તાહમાં 25070 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 145 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારો અને જાહેર રસ્તાઓને ફોગીંગ હેઠળ આવરી લેવાયા છે. રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાંક સિવાયની 709 જગ્યાઓ પર તપાસ કરી મચ્છર ઉત્પત્તિ બદલ રહેણાંકમાં 131 અને કોમર્શિયલ 366 મળી કુલ 497 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલોમાં હિસાબી કામગીરી આઉટસોર્સના કર્મચારીઓને ન સોંપવા આદેશ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય તેમજ હિસાબી કામગીરી આઉટસોર્સ કે 11 માસના કરાર આધારિત કર્મચારીઓને ન સોંપવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. વિભાગના ઉપસચિવ દીપ કે. મોદી દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે, કેટલીક સંસ્થાઓમાં આવા કર્મચારીને નાણાકીય જવાબદારીઓ સોંપાતી હોવાનું ધ્યાને આવ્યું છે, જે ગંભીર બાબત છે. આ પ્રથાને કારણે આર્થિક અને વહીવટી પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે, જે સરકારના હિતમાં નથી. પરિપત્ર અનુસાર, જો કોઈપણ કર્મચારીને આવી કામગીરી સોંપાયેલી હોય તો તે તાત્કાલિક અસરથી પરત લઈ નિયમિત કર્મચારીઓને સોંપવા આદેશ કરાયો છે. ખાસ સંજોગોમાં નિયમિત સ્ટાફ ન હોય તો ખાતાના વડાની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. જો મંજૂરી વિના આવી કામગીરી સોંપવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ વહીવટી કે નાણાકીય ગેરરીતિના પ્રશ્નો ઉપસ્થિત થશે, તો તેની સઘળી જવાબદારી સંબંધિત કચેરી કે સંસ્થાના વડાની રહેશે. આધુનિક LHB રેક સાથે દોડશે ઓખા-શાલીમાર એક્સપ્રેસ, મુસાફરોને મળશે વધુ આરામદાયક સફર રાજકોટ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ઓખા-શાલીમાર અને શાલીમાર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં વર્ષો જૂના પરંપરાગત ICF રેકના સ્થાને અત્યાધુનિક LHB (લિંક હોફમેન બુશ) રેક લગાવવામાં આવશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ ઓખાથી 2 ઓગસ્ટ, 2026થી અને ટ્રેન નંબર 22906 શાલીમારથી 4 ઓગસ્ટ, 2026થી નવા LHB રેક સાથે દોડશે. આ આધુનિક કોચ ઓછા આંચકા, વધુ સુરક્ષા અને ઊંચી ઝડપે ઉત્તમ સ્થિરતા આપવા માટે જાણીતા છે, જેનાથી મુસાફરોનો પ્રવાસ વધુ સુખદ બનશે. આ ટ્રેનમાં કુલ 22 કોચ જોડવામાં આવશે. જેમાં 1 ફર્સ્ટ એસી, 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 6 સ્લીપર ક્લાસ, 4 જનરલ કોચ, 1 પેન્ટ્રી કાર, 1 લગેજ વેન અને 1 જનરેટર વેનનો સમાવેશ થાય છે. આ ફેરફારથી લાંબા અંતરના મુસાફરોને આધુનિક અને સુરક્ષિત પ્રવાસનો નવો અનુભવ મળશે.
Read Original Article →