'ગુજરાતીઓનું અપમાન કરનાર ખડગે માફી માંગે':રાજકોટનાં કિસાનપરા ચોકમાં ભાજપના મૌન ધરણા, મનપાનાં જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઈનો લાગી

Gujarat4/7/2026, 3:20:50 PM
'ગુજરાતીઓનું અપમાન કરનાર ખડગે માફી માંગે':રાજકોટનાં કિસાનપરા ચોકમાં ભાજપના મૌન ધરણા, મનપાનાં જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઈનો લાગી
રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખડગે દ્વારા ગુજરાતીઓને 'મૂર્ખ' અને 'અભણ' કહેતા સમગ્ર રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો છે, જેની અસર રાજકોટમાં પણ જોવા મળી હતી. શહેરના કિસાનપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ હાથમાં પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ ધારણ કર્યા હતા, જેમાં 'અમે ગુજરાતીઓ મૂર્ખ નથી, માફી માંગે કોંગ્રેસ' અને 'ગુજરાત વિરોધી માનસિકતા બદલ માફી માંગો' જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. ‘દરેક ગુજરાતીની લાગણી દુભાઈ છે. ત્યારે હવે મલ્લિકાર્જુન ખડગે માફી માંગે’ મૌન ધરણામાં શહેર ભાજપનાંપ્રમુખ માધવ દવે, MLA રમેશ ટીલાળા અને પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરતી આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના દિગ્ગજ નેતા દ્વારા આ પ્રકારની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને તેનાથી દરેક ગુજરાતીની લાગણી દુભાઈ છે. ત્યારે હવે મલ્લિકાર્જુન ખડગે માફી માંગે તેવી અમારી માંગ છે. ભાજપે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગુજરાતીઓના અપમાન બદલ કોંગ્રેસ માફી નહીં માંગે ત્યાં સુધી આ આક્રોશ શાંત નહીં થાય. મનપાના જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાંબી લાઈનો લાગી મનપાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 3 દિવસથી અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં આરટીઇ હેઠળ એડમિશન માટે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટની કામગીરીની સાથે હવે નવા શૈક્ષણિક સત્ર માટે નવા ફોર્મેટમાં જન્મના દાખલા કઢાવવા વાલીઓ ઉમટી પડ્યા છે. આજે સિવિક સેન્ટર ખાતે ભીડ એટલી વધી ગઈ હતી કે લાઈનો મનપાના મુખ્ય ગેટ સુધી પહોંચી હતી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા વિજીલન્સ પોલીસનો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. જન્મના દાખલામાં સંતાનના નામની સાથે પિતાનું નામ એક જ ફોર્મેટમાં હોવું ફરજિયાત મનપા દ્વારા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવી હતી. સરકારના નવા નિયમ મુજબ જન્મના દાખલામાં સંતાનના નામની સાથે પિતાનું નામ એક જ ફોર્મેટમાં હોવું ફરજિયાત છે. નવી શાળા કે કોલેજમાં એડમિશન માટે આ નવું ફોર્મેટ માન્ય રખાયું હોવાથી વેકેશન પહેલા વાલીઓ સુધારા સાથેના નવા પ્રમાણપત્રો મેળવવા દોડધામ કરી રહ્યા છે. આચાર સંહિતાના કારણે અન્ય વિભાગોમાં શાંતિ છે, પરંતુ જન્મ-મરણ વિભાગમાં અરજદારોના ધસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત, બે ઈન્ટરસિટી રદ્દ, અન્ય બે મોડી ચાલશે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે. ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે 8 એપ્રિલ, 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોની અવરજવર પર સીધી અસર પડશે. આ બ્લોકને પરિણામે મુસાફરોની સુવિધા માટે દોડતી મહત્વની ઈન્ટરસિટી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઈન્ટરસિટી 8 એપ્રિલ, 2026 ના રોજ રદ રહેશે. આ ઉપરાંત, વળતી દિશાની ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી 9 એપ્રિલ, 2026 ના રોજ રદ રાખવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેનો રદ થવા ઉપરાંત 8 એપ્રિલના રોજ અન્ય બે ટ્રેનો માર્ગમાં રેગ્યુલેટ એટલે કે મોડી પડશે. જેમાં સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ (22718) અને ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ (15636) વડોદરા ડિવિઝનમાં અંદાજે 1 કલાક જેટલી મોડી ચાલશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર સમયની ખાતરી કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. 108ની ટીમે અકસ્માતગ્રસ્ત યુવકની સારવાર કરવાની સાથે રૂ. 9 લાખની મત્તા પરત કરી રાજકોટના લક્ષ્મીનગર નાળા પાસે સર્જાયેલા એક અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 6 એપ્રિલ, 2026ના રોજ મોડી રાત્રે 3:18 કલાકે 24 વર્ષીય અભીરભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ બાઈક સ્લીપ થવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ કાલાવડ રોડ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અર્ધબેભાન હાલતમાં રહેલા યુવકને પ્રાથમિક સારવાર આપી સિનર્જી હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત યુવક પાસેથી એપલ iPhone 17 Pro Max, સોનાની ચેઇન, લકી અને રોકડ રૂ. 500 સહિત કુલ રૂ. 9,00,000ની કિંમતી વસ્તુઓ મળી આવી હતી. EMT રોશનીબેન ચાવડા અને પાઇલોટ મનુભાઈ જોટવાએ આ તમામ સામાન સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે હાજર જતીનભાઈ અધેરાને સુપરત કર્યો હતો. 108ની ટીમની આ ત્વરિત કામગીરી અને નૈતિકતાને જોઈને ઈજાગ્રસ્તના પરિવારજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Read Original Article →