રાજકોટ ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન:જાહેર સભા સંબોધન બાદ 72 ઉમેદવારો એક સાથે પોતાની ઉમેદવારી નોંધાવશે, નારાજ આગેવાનો અને કાર્યકર્તાની ગેરહાજરી
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આ વિજય વિશ્વાસ સંમેલનમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાની ગેરહાજરી જરૂર જોવા મળી રહી છે. દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી પહોંચશે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા 72 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત થતાની સાથે આખી રાત કાર્યાલય ખાતે ભાજપ લીગલ સેલની મદદથી ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રક્રિયા કરવામાં આવી છે. આજે અમારું વિજય વિશ્વાસ સંમેલન છે જે પૂર્ણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. આજે સાંજથી જ બધા કાર્યકર્તાઓ દરેક બુથ સુધી પહોંચી પ્રચારમાં જોડાઈ જશે. 72 બેઠક ઉપર કમળ ખીલશે:ડો. માધવ દવે
ડો. માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 15માં પણ આ વખતે અમે ખાસ રણનીતિ બનાવી છે. તમામ 72 બેઠક ઉપર કમળ ખીલાવી તમામ 72 બેઠક પર જીત મેળવીશું. દેશમાં મોદી સાહેબ અને રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકાર જે રીતે વિકાસના કામ કરે છે. એટલે રાજકોટમાં પણ આ વખતે લોકો વિકાસને ધ્યાનમાં રાખી તમામ બેઠક પર ભાજપને જીત અપાવશે તેવો મને વિશ્વાસ છે. કાર્યકર્તા કોઈ નારાજ થાય તો તેને સાંભળવાની મારી જવાબદારી છે. મેં દરેકને સાંભળી તેમને યોગ્ય આશ્વાસન આપ્યું છે હવે કોઈ નારાજગી નથી બધા એક થઇ આજથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે. પોલીસ બોલાવવી પડી એવી સ્થિતિ હતી
ગઈકાલે સાંજે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓમાં નારાજગી જરૂર જોવા મળી હતી. શહેરના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 14, અને વોર્ડ નંબર 18માં ટિકિટ ઇચ્છતા નેતાઓ અને તેના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. આ પૈકી વોર્ડ નંબર 3, 13, અને 14ના કાર્યકર્તા ટોળા સાથે કમલમ કાર્યાલય આવી પહોંચતા મોડી રાત સુધી અહીં પોલીસ બંદોબસ્ત મુકવાની પણ ફરજ પડી હતી. જો કે આવું કદાચ પ્રથમ વખત બન્યું હશે કે ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બોલાવી પડી હોય. ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી છે અને આ શિસ્ત બધ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ કદાચ ગઈકાલે પોતાની પાર્ટીની શિસ્તતા ભૂલી ગયા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું હતું. પૂર્વ મેયર, પૂર્વ દંડક સહિતના પત્તા કપાયા મહાનગર પાલિકાના 72 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે જયારે 50 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેમાં મુખ્યત્વે ગત 5 વર્ષની ટર્મના મુખ્ય 10 પદાધિકારીઓ પૈકી માત્ર 2 જ પદાધિકારીને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અને પૂર્વ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ મનપાના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઈ ઘવા, તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાની બાદબાકી કરી પક્ષ દ્વારા તેમને કાપી નવા ચહેરાને તક આપવામાં આવી છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં છેલ્લે સુધી ભારે ખેંચતાણ જોવા મળી હતી. ગાંધીનગર કમલમમાં પણ મોટા નેતાઓ વચ્ચે પોતાના માણસો સાચવવામાં તુ-તું મેં-મેં થઇ હોવાની પણ ચર્ચા મોડી રાત સુધી રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત કાર્યકરોમાં ચર્ચાતી જોવા મળી હતી. શહેરના ચાર ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો વચ્ચે ઉમેદવારોની પસંદગી માટે ખેંચતાણ ચાલી હતી અને ઉમેદવારોની જાહેરાતના અંતે 72 ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીમાં મહિલા ધારાસભ્યનું પલડું ભારે રહ્યું હોવાનો પણ ગણગણાટ થતો સંભળાયો હતો.
Read Original Article →