રાજકોટ AAPના બે નેતા સામે ફરિયાદ દાખલ:વોર્ડ નંબર-4માં દબાણ હટાવ શાખાના અધિકારી દ્વારા બેનર હટાવવામાં આવતા કર્મચારીને "ભાજપના દલાલ છો" કીધું, ફરજમાં રુકાવટ બદલ નોંધાઈ FIR

Gujarat4/6/2026, 7:23:32 PM
રાજકોટ AAPના બે નેતા સામે ફરિયાદ દાખલ:વોર્ડ નંબર-4માં દબાણ હટાવ શાખાના અધિકારી દ્વારા બેનર હટાવવામાં આવતા કર્મચારીને "ભાજપના દલાલ છો" કીધું, ફરજમાં રુકાવટ બદલ નોંધાઈ FIR
રાજકોટ આમ આદમી પાર્ટીના બે નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ મનપાના દબાણ હટાવ શાખા દ્વારા થાંભલા ઉપર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનર હટાવતા વોર્ડ નંબર-4ના ઉમેદવાર દ્વારા મનપાના કર્મચારીને "ભાજપના દલાલ છો" કહી બોલાચાલી કરી ફરજ રુકાવટ કરતા ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે BNS કલમ 221, 121(1), 3(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ મનપાની દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડીયા સામે ફરજ રુકાવટ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 31 માર્ચના રોજ હું મારી ફરજ પર હતો ત્યારે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16, અને 18માં મારી નોકરી ચાલુ હતી. આ દરમિયાન સાંજે 5.30 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર લગાવવામાં આવેલા હતા, તેને અમે હટાવ્યા હતા. આ દરમિયાન રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયાએ અમારી પાસે આવી બોર્ડ ઉતારવાનું બંધ કરો. આ ઉપરાંત, કોઈએ ફરિયાદ નથી કરી તો તમે બોર્ડ ઉતારવા કેમ આવ્યા છો? કહી પોતે પોતાની વોર્ડ નંબર 4ના ઉમેદવાર હોવાજી ઓળખ આપી અમારી સાથે બોલાચાલી કરી હતી. અમારી ગાડીમાંથી બોર્ડ બેનર ઉતારવા લાગ્યા હતા અને ભાજપના દલાલ છો કહી બોલાચાલી કરી અમારી ફરજમાં રુકાવટ કરી હતી જેથી ફરજ રુકાવટ કરતા તેમની સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં બેનર ઉતારવા બાબતે થયેલ ઘર્ષણના વાયરલ વીડિયો બાબતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર- 4ના ઉમેદવાર રાહુલ ભુવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એવું કહેવામાં આવે છે કે, મેં RMCના અધિકારી સાથે બોલાચાલી કરી તો એ મુદ્દે હું ખુલાસો કરવા માંગુ છું કે, આ વિડીયો 31 તારીખનો હતો અને ત્યારે જાહેર રજા હતી. એ દિવસે અધિકારીઓએ સોસાયટીઓમાં ધારીઆ લઈને આવીને આમ આદમી પાર્ટીના બેનરો ઉતાર્યા હતા. સમર્થકોના ઘરમાં લગાવેલા બેનર ઉતારવામાં આવ્યા હતા. જેથી અમને સ્થાનિકોના ફોન આવ્યા હતા અને ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા અને અધિકારી સાથે વાત કરી હતી. અમે પૂછ્યું કે ઓર્ડર ક્યાં છે? તો એ લોકોએ અમને કોઈ ઓર્ડર કે માહિતી આપી નહીં. તો મહત્વપૂર્ણ બાબતે છે કે 31 તારીખે કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગી ન હતી. બીજી મહત્વપૂર્ણ બાબત કે એ લોકો પાસે બેનર ઉતારવા માટે કોઈપણ પ્રકારનો પરિપત્ર ન હતો. અને એ અધિકારી ભાજપના કોઈ નેતા સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જીતી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કોઈપણ પ્રકારની ઉગ્ર બોલાચાલી કરી નથી અને એમને સવાલ પૂછવાનો અમારી પાસે હક છે. આ બધા લોકો હપ્તા લે છે એ પણ બધાને ખબર છે. જો રોડ પર કોઈ બેનર લાગી હોય અને હપ્તો આપી દેવામાં આવે તો ત્યારે આ લોકો કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉભો કરતા નથી. આજે પણ રોડ પર ભાજપના બેનરો લાગેલા છે પરંતુ તેને ઉતારવામાં આવતા નથી. પરંતુ ફક્ત આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી રહ્યા છે. સામાન્ય માણસ ડરી જાય પરંતુ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને અમે કોઈથી ડરતા નથી. જ્યારે એ લોકોને ખબર પડી કે એ લોકો ખોટા છે તો એ લોકોએ કહ્યું કે બેનર લઈ જાઓ અને આ બધી બાબત વીડિયોમાં કટ કરીને એમણે પછી વિડીયો રિલીઝ કર્યો છે. એ લોકો વિડીયો રેકોર્ડિંગ કરતા હતા માટે એ લોકોએ વીડિયોને એડિટ કરીને રિલીઝ કર્યો છે. અને આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે માટે હું લોકોને વિનંતી કરવા માગું છું કે આ તમામ લોકો ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કોઈ ખોટી વાત કરી નથી.
Read Original Article →