રાજકોટ મનપા તંત્રની ઘોર બેદરકારી:વર્ષોથી જર્જરિત 792 ક્વાર્ટર્સને ચોમાસું આવતાં વીજ પાણીનાં જોડાણો કાપવા નોટિસ, ચોમાસામાં જ લોકોને બેઘર કરવા મક્કમ અધિકારીઓનો મેયરે કર્યો બચાવ

Gujarat6/9/2026, 8:15:42 AM
રાજકોટ મનપા તંત્રની ઘોર બેદરકારી:વર્ષોથી જર્જરિત 792 ક્વાર્ટર્સને ચોમાસું આવતાં વીજ પાણીનાં જોડાણો કાપવા નોટિસ, ચોમાસામાં જ લોકોને બેઘર કરવા મક્કમ અધિકારીઓનો મેયરે કર્યો બચાવ
રાજકોટ મહાનગરપાલિકાની ઓચંતી જાગેલી કુંભકર્ણી નિદ્રા અને પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર નોટિસો ફાટવાની નીતિને કારણે વોર્ડ નંબર 10ના સેંકડો પરિવારો પર અત્યારે ચોમાસાના ટાણે જ બેઘર થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 792 જેટલા ક્વાર્ટર્સ વર્ષોથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં પડ્યા છે. પરંતુ તંત્રએ વર્ષો સુધી આ અંગે કોઈ કાયમી ઉકેલ લાવવાની તસદી લીધી નથી. હવે જ્યારે ચોમાસાની ઋતુ માથા પર આવીને ઊભી છે, ત્યારે અચાનક જાગી ગયેલા કોર્પોરેશનના અધિકારીઓએ રહીશોને સીધી પાણી અને વીજળીના જોડાણો કાપી નાખવાની નોટિસ ફટકારી છે. એટલું જ નહીં ચોમાસામાં જ લોકોને બેઘર કરવા માટે મક્કમ અધિકારીઓની આ કામગીરી નિયમ મુજબ કરાઈ હોવાનું જણાવી મેયર ડો. નેહલ શુક્લએ લુલો બચાવ કર્યો છે. પ્રાપ્ત વિગત મુજબ ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 792 જેટલા ક્વાર્ટર્સ વર્ષોથી જર્જરિત છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ મનપા તંત્રએ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટનો હવાલો આપીને આ આખી ઇમારતને રહેવા માટે અયોગ્ય અને જોખમી ગણાવી છે. સવાલ એ ઊભો થાય છે કે જો આ રિપોર્ટ આટલો જ ગંભીર હતો, તો તંત્ર આખું વર્ષ કેમ ઊંઘતું રહ્યું? ચોમાસાની વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આશરાની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ તેમને પાણી અને વીજળી વિના ટળવળતા કરીને ઘરમાંથી કાઢી મૂકવાની આ કામગીરી કેટલી યોગ્ય છે. સ્થળ પર માત્ર ભયજનક મિલકતના બોર્ડ મારી દેવાથી કોર્પોરેશનની જવાબદારી પૂરી થઈ જતી નથી. સ્થાનિકોમાં પણ સરમુખત્યારશાહી જેવા તંત્રના આ વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં આવી રીતે કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માનવાનું કામ કરે છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી રહેતા અનેક ગરીબ પરિવારોએ તંત્રના ભરોસે બેઠા વિના જ પોતાના પૂરતા ખર્ચે મકાનોનું યોગ્ય રિપેરિંગ પણ કરાવી લીધું છે. આમ છતાં, મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને સ્થળ પર વાસ્તવિકતાની કોઈ ચકાસણી કરવા પણ તૈયાર નથી. અને આ વર્ષે પણ તમામ મકાનોને નોટિસ આપી પાણી તેમજ વીજળીનાં જોડાણો કાપવાની ધમકીઓ આપવામાં આવે છે. જોકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી. અહીં રહેતા રહીશ ચન્દ્રિકાબેન ગોસ્વામીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમને 5 દિવસમાં મકાન ખાલી કરવાનું બોર્ડ મારી ગયા છે અને જો ખાલી નહીં કરીએ તો નળ તેમજ લાઈટ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી છે. દર ચોમાસે અમને આવી નોટિસ આપીને હેરાન કરવામાં આવે છે. અમારી માંગણી છે કે કાં તો અમને મકાન આપો અથવા તો રહેવા માટે ભાડું આપો. અમે કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆતો કરી છે, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. અન્ય એક સ્થાનિક અગ્રણી કેતન મનુભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 30 થી 35 વર્ષથી અહીં રહીએ છીએ. અમે કોર્પોરેશનનો વેરો, લાઈટ બિલ અને હાઉસિંગ બોર્ડના નાણાં પણ નિયમિત રીતે સમયસર ભરીએ છીએ. અમે અમારી રીતે રિપેરિંગ કરાવવા તૈયાર છીએ, તો તંત્ર અમારી પાસે સ્ટ્રક્ચર રિપોર્ટ માંગે છે. અહીં 200-500 રૂપિયાની રોજિંદી મજૂરી કરીને ઘર ચલાવતા લોકો રહે છે, તેમને આવો રિપોર્ટ કોણ કરી આપે? વધુમાં તેમણે જણાવ્યું કે, આ વસાહતમાં 792 ઘરો આવેલા છે, જેમાં અંદાજે 4,000 જેટલા લોકો વસવાટ કરે છે. આટલી મોટી સંખ્યામાં રહેતા લોકો, જેમાં નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ પણ સામેલ છે, તેઓ આ ચોમાસાની સિઝનમાં ક્યાં જાય? ત્યારે અમને પીપીપી યોજના હેઠળ નવા મકાન બનાવી આપવામાં આવે અથવા તો જ્યાં સુધી નવા મકાન ન બને ત્યાં સુધી વૈકલ્પિક રહેવા માટે ભાડાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ પણ આ સમગ્ર મામલે તંત્રના બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ નોટિસ આપવી એ માત્ર એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. આ મિલકતો ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની હોવા છતાં પણ તે શહેરની હદમાં આવતી હોવાથી નોટિસ આપવાની સત્તા - જવાબદારી મનપા પાસે છે. જોકે રિપેર થયેલા મકાનોની ચકાસણી નહીં કરવા અંગે તેમણે વહીવટી તંત્ર પાસેથી વિગતો મગાવવાનું આશ્વાસન તો આપ્યું છે, પરંતુ ચોમાસાના પ્રારંભે જ તંત્રની આ માનવતાહીન કામગીરીને કારણે અનેક પરિવારોના જીવ અધ્ધર થઈ ગયા છે.
Read Original Article →