યુવતી પર દુષ્કર્મ ગુજારી છેતરપિંડી આચરનાર આરોપીના રિમાન્ડ નામંજૂર:દીકરીના લગ્નમાં કરિયાવર અને પૈસાની ચિંતામાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
મેટોડા GIDC પાસે આવેલા આશુતોષ પાવર હાઉસ નજીક રહેતા તુલસીભાઈ રાજાભાઈ વાઘેલા (ઉ.વ.45) પોતાના ઘરે એસિડ પી લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તુલસીભાઈ મૂળ માણાવદરના બાંટવા ગામના વતની છે અને હાલ મેટોડામાં રહી કંપનીમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તુલસીભાઈની મોટી દીકરીના લગ્ન આગામી તા.30.04.2026ના રોજ નક્કી કરવામાં આવ્યા છે. ઘરમાં લગ્નનો પ્રસંગ હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હોવો જોઈએ તેના બદલે આર્થિક સંકડામણે પિતાને ચિંતામાં ધકેલી દીધા હતા. તુલસીભાઈ છેલ્લા કેટલાક સમયથી દીકરીના લગ્ન માટે રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે થશે તે બાબતે સતત મુંઝવણમાં રહેતા હતા. વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં જે રીતે અસહ્ય વધારો થઈ રહ્યો છે, તેને જોતા 'દીકરીને કરિયાવરમાં શું આપી શકીશ?' અને 'લગ્નનો ખર્ચ કેવી રીતે પૂરો થશે?' એવા વિચારો તેમને સતત સતાવી રહ્યા હતા. આ માનસિક તણાવ સહન ન થતા આખરે પિતાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. યુવતીને નોકરીમાં રાખી બાદમાં ભાવનગરના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું
રાજકોટ શહેરમાં રહેતી 22 વર્ષિય યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરમાં યોગીનગર વિસ્તારમાં રહેતાં ગોપાલ રમણીકભાઈ ચાવડા (ઉ.42)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીને રાજકોટમાં લીમડા ચોકમાં આવેલા એપાર્ટમેન્ટમાં જાનવી મેનેજમેન્ટ પ્રા.લી.નામની ઓફિસ આવેલી છે, જેમાં તેને. આરોપીએ નોકરીએ રાખી હતી અને બાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ સમયે યુવતીએ શરીર સંબંધ બાંધવાનો ઈન્કાર કરતાં આરોપીએ તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ત્યારબાદ અવારનવાર આરોપીએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. અંતે યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભાવનગરના શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી પર દુષ્કર્મ ગુજારી છેતરપિંડી આચરનાર આરોપીના રિમાન્ડ નામંજૂર
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી અને સોનાના ઘરેણા, રોકડ, કાર અને એકટીવા મળી 20.10 લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા કેશોદના ધ્રુવ જોશીની રિમાન્ડ અરજી કોર્ટે નામંજૂર કરી છે. રાજકોટમાં રહેતી યુવતીને કેશોદના ધૃવભાઈ દવે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધી એકટીવા, કાર, ગુગલ પે, બેંક ટ્રાન્સફરથી, રોકડા અને ફરીયાદીના માતાના નામે લોન તેમજ સોનાના ઘરેણા મળી રૂ.20.10 લાખની છેતરપિંડી કર્યા અંગેની તા.01.11.2025ના રોજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાના કામે પોલીસે કેશોદના ધ્રુવ જોશીની ધરપકડ કરી તપાસ માટે કોર્ટેમા પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીના એડવોકેટ સંજય પંડયાએ દસ્તાવેજી પુરાવા રજુ કરી કોર્ટે ને જણાવ્યું કે, આરોપીએ લગ્ન કરવાની સાફ ના પાડી છે તથા શારીરિક સંબંધોની લાલચમાં ફરીયાદીને બોલાવ્યો છે, જેની પણ મોબાઈલ ચેટ કોર્ટેમા રજુ કરી હતી. આરોપીની રીકવરી માટે રીમાન્ડ અરજી મંજુર કરી શકાય નહી એવી દલીલો કરીને રીમાંડ અરજી રદ કરવા રજુઆત કરી હતી. જે ધ્યાને લઈ કોર્ટે આરોપીની પોલીસ રીમાંડ અરજી નામંજુર કરી છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ સંજય એચ. પંડયા, મનીષ એચ. પંડયા , જયદેવસિંહ અને વનરાજસિંહ જાડેજા રોકાયેલ હતા. આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માંગતા મકાનમાલિક મહિલા પર હુમલો
રાજકોટના મોરબી રોડ પર હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનિષાબેને પોતાનું મકાન આફ્રિકન વિદ્યાર્થીઓને ભાડે આપ્યું હતું. આ વિદ્યાર્થીઓએ મકાન ખાલી કરી દીધા બાદ જ્યારે અનિષાબેને તેમની પાસે બાકી રહેલા ભાડાની માંગણી કરી ત્યારે બોલાચાલી થઇ હતી. બપોરના 3 વાગ્યા આસપાસ ઉશ્કેરાયેલા આ અજાણ્યા આફ્રિકન શખ્સોએ મહિલા પર ઈંટ અને લાકડાના પાટિયા વડે હિચકારો હુમલો કર્યો હતો, જેમાં મહિલાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મામલો થાળે પાડવા માટે દરમિયાનગીરી કરી હતી અને હુમલો કરનાર વિદ્યાર્થીઓને કાયદાનું ભાન કરાવતા આખરે તેઓએ બાકી રહેલું ભાડું ચૂકવી દીધું હતું. જોકે, દિનદહાડે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને ઈજાગ્રસ્ત મહિલા હાલ સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. પૌત્રના પ્રેમસંબંધનો ખાર રાખી વૃદ્ધને યુવતીના પિતાએ મારી નાખવાની ધમકી આપી
ગત તારીખ 12.03.2026ના રોજ નાનજીભાઈ તેમના પૌત્ર ગૌતમ સાથે માલિયાસણ ગામના સ્મશાનમાં તેમના દિવંગત પુત્ર હર્ષદની સમાધિ પર ફૂલહાર કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આરોપી મનુભાઈએ તેમનો રસ્તો રોકી બોલાચાલી અને ગાળાગાળી શરૂ કરી હતી. આરોપીએ ધમકી આપી હતી કે જો હવે પછી નાનજીભાઈ કે તેમના પરિવારનો કોઈ સભ્ય ગામમાં દેખાશે તો તે તમામને જાનથી મારી નાખશે. આ પરિસ્થિતિમાં પૌત્ર ગૌતમે તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. ઘટના બાદ શરૂઆતમાં પોલીસમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા આખરે તારીખ 07.04.2026ના રોજ ફરિયાદ નોંધાઈ છે. કુવાડવા પોલીસે આરોપી મનુભાઈ પુનાભાઈ ચાવડા વિરુદ્ધ BNSની કલમ 351(3) અને 352 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →