ચોટીલા પાસે હિટ એન્ડ રનમાં બે પિતરાઈ ભાઈઓના મોત:પીપળીધામે રામદેવપીરના મંદિરે દર્શન કરી પરત આવતા બાઈક સવાર બંને ભાઈઓને વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા

Gujarat6/9/2026, 2:14:04 PM
ચોટીલા પાસે હિટ એન્ડ રનમાં બે પિતરાઈ ભાઈઓના મોત:પીપળીધામે રામદેવપીરના મંદિરે દર્શન કરી પરત આવતા બાઈક સવાર બંને ભાઈઓને વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા
રાજકોટમાં રામાપીર ચોક નજીક રહેતા જતિન રણછોડભાઈ ભલસોડ (ઉં.વ.27) અને મયુર ભવાનભાઈ ભલસોડ (ઉં.વ.25) ગઈકાલે સાંજે 6.30 વાગ્યાં આસપાસ બાઈક લઇ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવતા પીપળીધામ જવા નીકળ્યા હતા અને રાત્રે મંદિરે રોકાયા હતા બાદ વહેલી સવારે રામદેવપીરના દર્શન કરી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યારે વહેલી સવારે 5 વાગ્યાં આસપાસ ચોટીલાના સાંગાણી ગામ નજીક બલદેવ હોટલ પાસે પહોંચ્યા ત્યાં અચાનક અજાણ્યા વાહને બંને ભાઈઓને બાઈક સહિત હડફેટે લીધા હતા જેથી બંનેને ગંભીર ઈજા પહોંચી હતી જેથી 108 મારફત ચોટીલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં મયુરને મૃત જાહેર કરાયો હતો. જ્યારે જતિનની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં ટૂંકી સારવારમાં જતિનનું પણ મોત નીપજ્યું હતું. બંને ભાઈઓ મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વતની છે. હાલ બંને રાજકોટ રહેતા હતા. મયુર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝરનું કામ કરતો હતો. જ્યારે જતીનને રામાપીર ચોકડી ખાતે રીપાવરિંગ, બ્લોક બેરિંગનું મોટા વાહનોનું ગેરેજ છે. જતિન 2 બહેનનો એકનો એક ભાઈ અને સૌથી મોટો હતો અને કુંવારો હતો. જ્યારે મયુર 2 બહેન અને 2 ભાઈ નાનો અને કુંવારો હતો. જુવાનજોધ પુત્રોને ગુમવાતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પરિણીતાએ ઝેર પી કર્યો આપઘાત કાજલબેન અનિલભાઈ ઝીંઝુવાડિયા (ઉં.વ.25) ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણો સર ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પર હાજર તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં કાજલબેનના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાનમાં 2 દીકરા છે. તેઓ તેમના સાસુ-સસરાથી અલગ રહેતા હતા. જો કે પરિણીતાએ આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. નિર્માણધીન ખોડલધામ કેન્સર હોસ્પિટલની સાઇટ પરથી કોપર વાયરની ચોરી ખોડલધામ ટ્રસ્ટના લીગલ ઓફિસર દક્ષરાજસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.07.06.2026ના બપોરના સમયે તેઓ રાજકોટ હતા ત્યારે નાની અમરેલી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટનું કામ ચાલુ હોય ત્યાં સાઈટના ઇન્ચાર્જ સંદીપભાઈ તંબોલીયાનો ફોન આવ્યો હતો કે, ખીરસરા જવાના રોડ પર કમ્પાઉન્ડ હોલની દિવાલનો આશરે 100 મીટર સુધીનો ફોર કોર કેબલ કોપર વાયર કોઇ તસ્કર કાપી ચોરી કરી ગયું છે. જેથી તેઓ સાઈટ પર પહોંચી જોતા 100 મીટર કોપર વાયર કપાયેલો જોવા મળ્યો હતો. જે બાદ સાઈટ પર લાગેલા CCTV કેમેરા ચેક કરતા તા.05.06.2026ના બપોરના 12.30થી 1.30 વાગ્યા દરમિયાન રૂ.10 હજરની કિંમતનો આ વાયર કોઈ અજાણ્યો શખ્સ કાપીને ચોરી કરી લઈ જતો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પડધરી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે. 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત રાજેશભાઈ સોમાભાઈ રાઠોડ (ઉં.વ.28) ગઈકાલે બપોરે 2.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા તેમને મટોડામાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે જેના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં રાજેશભાઈ મૂળ બગસરા તાલુકાના તોરી રામપર ગામના વતની હોવાનું અને વર્ષોથી મેટોડાની જ કંપનીમાં નોકરી કરતા હોવાથી અહીં મેટોડામાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે. તેમને સંતાનમાં બે દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવત. પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. વકીલાતનો અભ્યાસ કરતો છાત્ર દારૂના જથ્થા સાથે ઝડપાયો રાજકોટ PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે કુવાડવા GIDC નજીક રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર પ્રફુલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે સ્વિફટ નંબર જીજે.03.પીજે.8971માં દારૂનો જથ્થો છુપાવ્યો છે જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે કારચાલકની પુછતાછ કરતા તેણે પોતાનું નામ સાગર પરમાર (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની રૂ.96,000ની કિંમતની દારૂની 480 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 5.96 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ શખ્સ વકીલાતનો અભ્યાસ કરે છે અને તે સુરેન્દ્રનગર પંથકમાંથી દારૂ ભરી સપ્લાય કરવા માટે જતો હતો. હાલ પોલીસે સપ્લાયર અને રીસીવરનું નામ ખોલાવવા તજવીજ હાથ ધરી છે. પરસોત્તમ માસ હોવાથી ત્રંબા સ્નાન કરવા જતાં મહિલાઓને નડયો અકસ્માત રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા મહિલાઓ રીક્ષામાં બેસી ત્રંબા સ્નાન કરવા માટે જઈ રહ્યા હતાં ત્યારે ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ નજીક પહોંચતાં રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રીક્ષા પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર રંજનબેન ચુડાસમાં, મંજુબેન બાબુભાઈ સાંગાણી, રમાબેન શામજીભાઈ, અસ્મિતાબેન વાઘેલા, ભાવનાબેન અને સવિતાબેનને ઈજા પહોંચતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →