રાજકોટમાં ફ્યૂઅલની અછતના લીધે 2 ફ્લાઇટ કેન્સલ:એર ઇન્ડિયાની દિલ્હી - મુંબઈની ફ્લાઈટ 1 જૂનથી 31 જુલાઈ સુધી બંધ રહેશે, ચેમ્બર ઓફ કોમર્સની ઉડ્ડયન મંત્રીને રજૂઆત
રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધીના સમર શેડ્યૂલ મુજબ હાલ દૈનિક 13 સહિત 14 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જોકે હાલ ફ્યુઅલની સમસ્યાને કારણે એર ઇન્ડિયા દ્વારા 1 જૂનથી 31 જુલાઈ સુધી સવારની 10 વાગ્યાની દિલ્હીની અને સાંજે 6 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ બંધ રાખવાનું જાહેર કરાયું છે. જોકે આ બંને ફ્લાઇટ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્ન્જારપ્પુ રામમોહન નાયડુ અને એર ઇન્ડિયાના ચેરમેન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચેરમેન વી.પી.વૈષ્ણવે રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહી તે માટે સરકાર સમક્ષ અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ગણાય છે. વધુમાં MSME એકમોથી પથરાયેલ હોય અને આયાત-નિકાસ પણ દિન પ્રતિદિન વધી રહયું હોવાથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમજ ઐતીહાસીક સ્થળોથી પથરાયેલ હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ માટે સતત વધતા જતા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અગાઉની રજુઆતના ફળ સ્વરૂપે એર ઈન્ડિયાની સવારની રાજકોટ-દિલ્હી માટેની અને સાંજની રાજકોટ-મુંબઈ માટેની ફલાઈટ શરૂ થઈ હતી. જેનાથી વેપાર-ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ પોતાની કામગીરી એક જ દિવસે પુર્ણ કરી પરત ફરતા હતા. પરંતુ હાલમાં આ બન્ને ફલાઈટો બંધ કરવાનું જાહેર થતા વેપાર-ઉદ્યોગકારો તેમજ મુસાફરોને ખુબ જ હાલાકી ભોગવવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા Aviation Turbine Fuel (ATF) ઉપર વેટમાં કરાયેલ ઘટાડાના પરિણામે એરલાઈન્સ ઓપરેટર્સને નોંધપાત્ર આર્થિક રાહત મળી છે. જેનાથી ફલાઈટના ઓપરેશન્સના વિસ્તરણ અને પુનઃપ્રારંભ માટે સકારાત્મક પરિસ્થિતી ઉભી થઈ છે ત્યારે ઈન્ટરનેશનલ કનેકટીવીટી અને ડોમેસ્ટીક બિઝનેશ માટે ઘણી બધી ઈફેકટ કરતી આ બન્ને ફલાઈટો હોય અને ખુબ જ જરૂરી હોવાથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દ્વારા કેન્દ્રીય નાગરીક ઉડયનમંત્રી તથા એરઈન્ડિયાના ચેરમેન સમક્ષ સવારની રાજકોટ-દિલ્હી માટેની અને સાંજની રાજકોટ-મુંબઈ માટેની ફલાઈટો શરૂ રાખવા રજુઆત કરવામાં આવી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરી હતી. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરી રહી છે. હાલ ગોવાની ફ્લાઈટ બંધ છે. જ્યારે 1 જૂનથી 2 માસ માટે એર ઇન્ડિયાની દિલ્હી અને મુંબઈની એક - એક ફ્લાઇટ રદ થતા રાજકોટથી ઉડાન ભરતી ફ્લાઇટની સંખ્યા 14 થી ઘટી 12 થઈ જશે અને આ સાથે જ દિલ્હી અને મુંબઈ જવા માટેની ફ્રિકવન્સી ઘટશે. રાજકોટ એરપોર્ટથી 14 ફ્લાઈટની ઉડાન ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન
IGO 6174/5004 - દિલ્હી - 7.55 - દૈનિક
AIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિક
IGO 7045/7046 - નવી મુંબઈ - 8.25 - દૈનિક
IGO 5156/233 - મુંબઈ - 9.15 - દૈનિક
AIC 885/886 - દિલ્હી - 10.00 - દૈનિક
IGO 956/957 - પુણે - 10.20 - મંગળ, બુધ, ગુરુ, રવિવાર
IGO 2284/2283 - મુંબઈ - 13.45 - દૈનિક
IGO 6507/6508 - બેંગ્લોર - 15.55 - દૈનિક
IGO 273/5271 - મુંબઈ - 16.20 - દૈનિક
IGO 6983/6984 - દિલ્હી - 17.50 - દૈનિક
AIC 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક
IGO 2100/2104 - નવી મુંબઈ - 19.35 - દૈનિક
IGO 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક
IGO 6823/6824 - હૈદરાબાદ - 20.10 - દૈનિક
Read Original Article →