પરિણીતાએ કરી આત્મહત્યા:પ્રેમી સાથે ભાગેલી પરિણીતાએ પિયરમાં પરત આવી સાસરિયાંની નજર સામે કરી આત્મહત્યા

Gujarat4/13/2026, 12:44:47 AM
રાજકોટના સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં 20 વર્ષીય પરિણીતાએ પરિવારજનોની નજર સામે જ એસિડ પી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. બે દિવસથી પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાએ પતિ પાસે ફરી સાસરે જવું પડશે તેવા ડરને કારણે એસિડ ગટગટાવી લઇ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સામા કાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં પિયરમાં રહેતી રિદ્ધિબેન રણછોડભાઈ ધોળકિયા(ઉં.વ.20)ના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે આજી ડેમ નજીક માંડાડુંગર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે, લગ્નજીવન દરમિયાન રિદ્ધિને અન્ય એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધને પગલે તે બે દિવસ પૂર્વે મૈત્રીકરાર કરી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જોકે દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી તેના માતા-પિતાએ આ સંબંધનો સ્વીકાર કરવાની ખાતરી આપી તેને પિયર પરત બોલાવી લીધી હતી. પરિવારના જણાવ્યા મુજબ, રિદ્ધિના તેના પતિ સાથે છૂટાછેડા લેવાની પ્રક્રિયા હાલમાં કાર્યરત હતી. શનિવારે સાંજે રિદ્ધિનો સામાન લેવા માટે તેના સાસરિયાં પક્ષના સભ્યો પિયર શક્તિ સોસાયટીમાં આવ્યા હતા. સાસરિયાંઓને જોઈને રિદ્ધિએ તેણીને તેના પતિ સાથે રહેવા માટે પરિવારના સદસ્યો મોકલી દેશે તેવી બીક સતાવતા તેણીએ સાસરિયાં અને પોતાના પરિવારની સામે જ અચાનક જ એસિડની બોટલ ગટગટાવી લીધી હતી.
Read Original Article →