ગોંડલ સબજેલના કેદીનું સારવાર દરમિયાન મોત:31 વર્ષના યુવકનું રાજકોટથી પરત ફર્યા બાદ નિધન
ગોંડલ સબજેલમાં બંધ કાચા કામના કેદી રવિભાઈ લાખાભાઈ વિંઝુડા (ઉંમર 31)નું સારવાર દરમિયાન મોત થયું છે. જેતપુરના રહેવાસી વિંઝુડાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, મૃતક રવિભાઈ છેલ્લા ત્રણથી ચાર દિવસથી બીમાર હતા. તેમની તબિયત વધુ બગડતા જેલ પ્રશાસને તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં જરૂરી રિપોર્ટ્સ અને પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી અને તેઓને જેલની બેરેકમાં પરત મોકલવામાં આવ્યા હતા. જોકે, ગઈ કાલે રાત્રે લગભગ 10:30 વાગ્યે તેમની તબિયત ફરી એકાએક લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. આરોપી બેભાન થતા તેને ફરી એકવાર એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. કેદીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. આ મામલે જેલ સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →