જાહેરનામું:પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 જેવો પ્રતિબંધ
બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાયતે માટેપોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા એક કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર તમામ નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં લોકટોળા એકત્રિત થવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ સત્તાવાર જાહેરનામા મુજબ, પરીક્ષાની નિર્ધારિત તારીખો અને સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં આવેલા કોઈ પણ જાહેર માર્ગો, ચાર રસ્તા, ચોક કે ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવું નહીં. પરીક્ષાના માહોલને અસર પહોંચે તે રીતે કેન્દ્રોની આસપાસ કોઈ પણ પ્રકારના સરઘસો કાઢવા નહીં, કોઈ રાજકીય કે સામાજિક સૂત્રો પોકારવા નહીં તેમજ લાઉડ સ્પીકર કે ડીજે વગાડીને ઘોંઘાટ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. આ આદેશનો હેતુ પરીક્ષામાં થતી સંભવિત ચોરીઓ અને ગેરરીતિઓ અટકાવવાનો તેમજ વિદ્યાર્થીઓની એકાગ્રતા જાળવવાનો છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આ પ્રતિબંધાત્મક હુકમમાંથી પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા ફરજ પરના સરકારી અધિકારીઓ, સુપરવાઈઝરો, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, જે દિવસે પરીક્ષા નહીં હોય તે દિવસોમાં આ નિયમ લાગુ પડશે નહીં.
Read Original Article →