પોરબંદર પેરોલ ફર્લો સ્ક્વોડે ફરાર આરોપીને ઝડપ્યો:પ્રોહિબિશન કેસમાં સાડા ચાર વર્ષથી ફરાર આરોપીની મુંબઈથી ધરપકડ કરાઈ
પોરબંદર પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા મેળવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. એચ.આર. સિસોદિયા, જે.આર. કટારા, પિયુષભાઈ સિસોદિયા અને વજશીભાઈ વરૂને ચોક્કસ બાતમી મળી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાનો આરોપી મુંબઈમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે તપાસ કરતા, આરોપી સુમીત કમલ અંભવાની (ઉંમર 33, રહે. ઉલ્લાસનગર, મુંબઈ) મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી. વધુ તપાસ માટે આરોપીને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એચ.એમ. જાડેજા અને તેમની ટીમ તેમજ ટેકનિકલ સેલ પોરબંદરના કર્મચારીઓ જોડાયા હતા.
Read Original Article →