ભાસ્કર એક્સક્લુસિવ‎:મહાનગર પાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં ભાગ લેનારા 450માંથી 100 દાવેદારનું પત્તુ સીધુ જ કપાઈ શકે

Gujarat4/8/2026, 12:00:00 AM
ભાસ્કર એક્સક્લુસિવ‎:મહાનગર પાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં ભાગ લેનારા 450માંથી 100 દાવેદારનું પત્તુ સીધુ જ કપાઈ શકે
ભાજપના 3 આકરા નિયમથી 22 ટકા દાવેદારોની ટિકિટ કપાશે. પોરબંદર મનપાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 450 લોકોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના મહત્વના 3 આકરા નિયમોના પગલે 22 ટકા એટલે કે, 100 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેમ છે. તેમાંય વર્તમાન સમયે નો રિપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે. જો તેનું સંપૂર્ણ પાલન થાય તો 50 ટકા લોકોને ઘરે બેસવાનો વારો આવશે. પોરબંદર મનપાની ચૂંટણીમાં 450 લોકોએ 52 બેઠક માટે ટિકિટની દાવેદારી કરી છે. ત્યારે ભાજપે 3 ટર્મ ચૂંટણી લડી ચૂકયા હોય, જન પ્રતિનિધી સાથે લોહીના સબંધ ધરાવતા હોય તેવા પરિવારને પણ ટિકિટ નહી આપવાની સાથે 60 વર્ષથી વધુનાની બાદબાકી કરવાનો નિર્ણય લીધો છે અને ગુન્હો સાબિત થયા હોય તેવા ઉમેદવારને પણ ટિકિટ નહીં આપવા નિર્ણય કર્યો છે, આમ ભાજપના આ મહત્વના આકરા નિયમને કારણે અનેક દાવેદારોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આથી જ દાવેદારોમાં એક જ સવાલ છે કે આપણું પત્તુ કપાશે કે ટીકીટ મળશે. મહત્વની બાબત એ છે કે, જે દાવેદાર 2005 થી પાલિકા, પોરબંદર અને છાંયા પાલિકા તેમજ પોરબંદર છાંયા સંયુક્ત પાલિકા માંથી જીતીને આવેલ છે તેવા પરિવાર માંથી આવતા લોકોની આ નામ માંથી બાદબાકી રહેશે. ત્રણ ટર્મ થી જીતેલા ઉમેદવાર તથા તેના પરિવાર માંથી આવતા દાવેદારો નિકળી શકે છે તેમજ 60 વર્ષ અને તેથી ઉપરના દાવેદારો મળી 100 દાવેદાર નીકળી જશે. 3 વર્ષથી વધુ સમયથી ભાજપના સભ્ય હોવા જોઇએ. આ નિયમોને કારણે હાલતો ભાજપના કાર્યકરો દોડતા થઇ ગયા છે. જ્યારે આ મનપામાં જે નવા ભળેલા 4 ગામડા છે તેમાં કદાવર અને ભાજપના આગેવાનોએ પણ દાવેદારી કરી છે. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો માટે પડકાર રૂપ બની શકે છે. બીજી બાજુ કોંગ્રેસ પણ આગામી દિવસમાં યાદી જાહેર કરશે, જ્યારે આપે 15 ઉમેદવારની પ્રથમ જાહેરાત કરી દીધી છે અને બાકીના ઉમેદવારો પણ તૈયાર છે જેની યાદી છેલ્લી ઘડીએ જાહેર કરશે. ભાજપમાં મહત્વના 3 આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયત એમ મળી 300 જેટલા દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી છે. ભાજપના 3 નિયમના કારણે 150 દાવેદાર નીકળી શકે તેમ છે નિયમો મુજબ 50 ટકા દાવેદાર નીકળી શકે તેમ છે. નવા નિયમોથી બળવો થશે કે અપક્ષમાં જશે તે જોવાનું રહ્યું ઉલ્લેખનીય છેકે, ભાજપમાં કેટલાક વોર્ડમાં સતત 3 ટર્મ થી ચૂંટાઈને આવતા ઉમેદવારો છે અને 60 વર્ષથી ઉપરના ઉમેદવારો છે જેઓ ભાજપમાં વફાદાર છે તેની સામે કોંગ્રેસના ધારાસભ્ય સહિતની ટીમ ભાજપમાં જોડાઈ ગઈ છે. આ વખતે પોરબંદર મનપામાં ભારે રસાકસી ભર્યો માહોલ ઉમેદવારોની પસંદગીનો રહ્યો છે. જે ઉમેદવારોની પોતાના વોર્ડમાં ખાસ્સી પ્રતિષ્ઠા છે તેવા ઉમેદવારો નવા નિયમોના કારણે બાદબાકી થશે તો આ ઉમેદવારો અપક્ષમાં પણ ઝંપલાવી શકે તો નવાઈ નહીં.
Read Original Article →