વૃંદાવન બંગલોઝમાં પાણીની સમસ્યા, રહીશો ટેન્કર મંગાવવા મજબૂર:પાઇપલાઇન રિપેરિંગના કામમાં ખામી રહેતા પાણી ગટરોમાં વહ્યું; પાલિકા પ્રમુખે નિરાકરણની ખાતરી આપી
પાટણના સખારી રોડ પર આવેલી વૃંદાવન બંગલોઝ સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. આ સમસ્યાના કારણે સોસાયટીના રહીશો ખાનગી ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. પાલિકાના RD વિભાગ દ્વારા કરાયેલ પાઇપલાઇન રિપેરિંગનું કામ સંતોષકારક ન હોવાથી પાણી સોસાયટી સુધી પહોંચવાને બદલે ગટરોમાં વહી રહ્યું છે. સોસાયટીના પ્રમુખ સોલંકી ભીખા કાલીદાસના જણાવ્યા અનુસાર, છેલ્લા 27-28 દિવસથી પાણી મળતું નથી. આ ગંભીર સમસ્યા અંગે રહીશોએ અગાઉ પણ પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. વોટર વર્ક્સના કર્મચારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરવા છતાં તેમને 'કામ ચાલુ છે' અને 'ટૂંક સમયમાં નિરાકરણ આવશે' જેવા જવાબો મળ્યા હતા. RD વિભાગ દ્વારા ચાલતી કામગીરી દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી. પાલિકા દ્વારા તેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તે કામ અત્યંત બિનકાર્યક્ષમ અને ખામીયુક્ત રહ્યું. રિપેરિંગ યોગ્ય રીતે ન થવાના કારણે પાઇપલાઇનમાંથી લીકેજ થતું પાણી સોસાયટીના ઘરો સુધી પહોંચવાના બદલે આજુબાજુની ગટરો અને ખાડાઓમાં વહી જઈને વેડફાઈ રહ્યું છે.
આના કારણે સોસાયટીમાં પાણીનો ફોર્સ બિલકુલ નહિવત થઈ ગયો છે અથવા પાણી ચડતું જ નથી. પાલિકાના આ પ્રકારના ઉદાસીન વલણથી કંટાળીને રહીશો હાલ પોતાની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે ખાનગી ખર્ચે પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે. આખરે, સોસાયટીના તમામ રહીશોએ એકત્રિત થઈને નગરપાલિકા પ્રમુખ સમક્ષ રૂબરૂ જઈને આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. રહીશોની રજૂઆત બાદ નગરપાલિકા પ્રમુખે આગામી દિવસોમાં અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરવાની હૈયાધારણા આપી છે. પ્રમુખે ખાતરી આપી છે કે, સ્થળ પર પાઇપલાઇનની ક્ષતિઓ તપાસીને પાણીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને રહીશોને નિયમિત પાણી પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
Read Original Article →