રાધનપુર નગરપાલિકા કર્મચારીનું ફરજ પર રહસ્યમય મોત:પાણી પુરવઠાના કર્મી કમલેશ મકવાણાનો મૃતદેહ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી મળ્યો; પોલીસ તપાસ શરૂ

Gujarat6/6/2026, 7:43:34 AM
રાધનપુર નગરપાલિકા કર્મચારીનું ફરજ પર રહસ્યમય મોત:પાણી પુરવઠાના કર્મી કમલેશ મકવાણાનો મૃતદેહ પાણીના અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી મળ્યો; પોલીસ તપાસ શરૂ
રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કમલેશભાઈ ભોજાભાઈ મકવાણાનું રાત્રિ ફરજ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી નગરપાલિકામાં સેવા આપી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ મકવાણા રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં રોજમદાર તરીકે કાર્યરત હતા. તેઓ આશરે આઠ વર્ષથી નિયમિતપણે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ પોતાની ડ્યુટી પર હાજર હતા ત્યારે જ તેમનું મોત નીપજ્યું હતું. તેમનો મૃતદેહ પાણીનાં સંપ (અંડરગ્રાઉન્ડ ટાંકો)માંથી મળ્યો હતો. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. મોતનું સાચું કારણ જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે નગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક લોકો અને મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિકો અને કર્મચારીઓ દ્વારા મૃતકના પરિવારને વહેલી તકે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે. પોલીસ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
Read Original Article →