હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં સ્થાપના દિવસે પાંચ દિવસીય હસ્તપ્રત વર્કશોપ શરૂ:શ્રુત રત્નાકર ટ્રસ્ટ અને સાંસ્કૃતિક મંત્રાલયના 'જ્ઞાન ભારતમ મીશન' હેઠળ આયોજન
પાટણ સ્થિત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં તા. ૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ પાંચ દિવસીય હસ્તપ્રત પરિચય વર્કશોપનો પ્રારંભ થશે. આ વર્કશોપ સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાઈ રહ્યો છે. તેનું આયોજન અમદાવાદના શ્રુત રત્નાકર ટ્રસ્ટ અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના 'જ્ઞાન ભારતમ મિશન'ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના ૭ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ થઈ હતી. આગમ પ્રભાકર મુનિરાજ પુણ્યવિજયજીની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના વિખ્યાત સાહિત્યકાર અને તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહમંત્રી કનૈયાલાલ મુનશીના હસ્તે કરવામાં આવી હતી. તે પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા હેમ સારસ્વત સત્ર યોજાયું હતું. આ જ્ઞાનમંદિરમાં ભારતીય પરંપરાઓની વિવિધ વિષયક ૨૭ હજારથી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે. આ વર્કશોપનો આરંભ જૈનાચાર્ય જગચ્ચંદ્ર સૂરી (ડહેલાવાળા) ની નિશ્રામાં થશે. શ્રુત રત્નાકર ટ્રસ્ટના ડાયરેક્ટર અને પ્રસિદ્ધ જૈન વિદ્વાન ડો. જીતેન્દ્રભાઈ બી. શાહ હસ્તપ્રત વિજ્ઞાન વિષયક મુખ્ય વ્યાખ્યાન આપશે. પાંચ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં હસ્તપ્રતશાસ્ત્રના અન્ય વિદ્વાનો અને સંશોધન વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. આ વર્કશોપનો મુખ્ય હેતુ પ્રાચીન લિપિઓ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વિદ્વાનોની નવી પેઢી તૈયાર કરવાનો છે. આનાથી ભારતીય વિદ્યાને વિશ્વ સ્તરે ઉજાગર કરી શકાશે. પાટણની જ્ઞાન-પ્રેમી જનતાને આ અનોખી કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read Original Article →