પાટણમાં પરણિતા પર સાસરીયાનો હુમલો:પતિ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
પાટણના નંદાપરામાં એક પરણિતા પર તેના પતિ અને સાસરીયાઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પરણિતાની માતાને ધક્કો મારી બેભાન કરી દેવાયા હતા અને પરણિતાને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ મામલે પાટણ સીટી એ ડીવીઝન પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 26 વર્ષીય વિસ્મીતાબેન નરેંદ્રભાઈ પરમારના લગ્ન સાત વર્ષ પહેલા મેહમદપુરના જીગર રમેશભાઈ રાઠોડ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ જીગર કંડલામાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હોવાથી તેઓ ગાંધીધામમાં રહેતા હતા. વિસ્મીતાબેન પણ આંગણવાડીમાં તેડાગર તરીકે કાર્યરત હતા. પતિ જીગર દારૂ પીવાની લત ધરાવતો હતો અને પોતાનો પગાર વેડફી નાખતો હતો. તે અવારનવાર પત્ની પાસે પૈસાની માંગણી કરતો હતો. પૈસા ન આપવા પર પતિ અને સાસુ મંજુલાબેન તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ગત 14 માર્ચ, 2026 ના રોજ દીકરીના જન્મદિવસ નિમિત્તે વિસ્મીતાબેનની માતા ગાંધીધામ આવ્યા હતા. દીકરીએ પાટણ જવાની જીદ કરતા પતિ અને સાસુ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કર્યો હતો. બીજા દિવસે, વિસ્મીતાબેન પાસેથી તેમની દીકરી છીનવી લઈ, તેમને મારઝૂડ કરી ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આથી પરણિતા પાટણ સ્થિત પોતાના પિયરમાં આવી ગયા હતા. ત્યારબાદ 10 મે, 2026 ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે, વિસ્મીતાબેન તેમના માતા, બહેન અને ભાભી સાથે ઘરે હાજર હતા. તે સમયે પતિ જીગર રમેશભાઈ રાઠોડ, સાસુ મંજુલાબેન, મામા સસરા મહેંદ્રભાઈ ભગવાનભાઈ પરમાર અને ભા સસરા નાગરભાઈ જેઠાભાઈ રાઠોડ તેમને તેડવાના બહાને પાટણ આવ્યા હતા. આ શખ્સોએ ઘરે આવી ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. પતિ જીગરે વિસ્મીતાબેનને લાફો માર્યો હતો, જ્યારે સાસુ મંજુલાબેને તેમની માતાને ધક્કો મારી નીચે પાડી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા. હુમલાખોરો જતા-જતા પરણિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બેભાન થયેલા માતાને તાત્કાલિક સારવાર અર્થે જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પાટણ સીટી એ ડીવીઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 85, 115(2), 296(b), 351(3) અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →