પાટણમાં ગુરુ ભીખનશાહ પીરદાદાની તિથિ ઉજવાઈ:શોભાયાત્રા, મહાઆરતી, કવ્વાલીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

Gujarat5/16/2026, 12:45:30 PM
પાટણમાં ગુરુ ભીખનશાહ પીરદાદાની તિથિ ઉજવાઈ:શોભાયાત્રા, મહાઆરતી, કવ્વાલીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
પાટણના નાનીસરા વિસ્તારમાં આવેલા ગુરુ ભીખનશાહ પીરદાદા મંદિર ખાતે તેમની તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, 108 દીવાની મહાઆરતી, મહાપ્રસાદ અને કવ્વાલી કાર્યક્રમ યોજાયા હતા, જેમાં પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુરુ ભીખનશાહ પીરદાદાની તિથિ નિમિત્તે નાનીસરા વિસ્તારમાં પરંપરાગત ધાર્મિક મહોત્સવ ઉજવાયો હતો. દર વર્ષે વૈશાખ માસના ચાર શુક્રવાર દરમિયાન ગુરુજીની પૂજા-અર્ચના અને પ્રસાદનું આયોજન થાય છે. આ પરંપરા મુજબ, નાનીસરા પરિવારના સભ્યો કંદોરિયા દીઠ મળિદાનો (રોટલી, ઘી, ગોળ અને ચુરમું) પ્રસાદ અર્પણ કરે છે. આ પરંપરાના ભાગરૂપે, પ્રથમ અથવા ચોથા શુક્રવારે ગુરુ મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવે છે, અને આ વર્ષે પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર, આશરે 500 વર્ષ પૂર્વે ગુરુ ભીખનશાહ પીરદાદા અને ગુરુ ખેંગારસ્વામી બાપુએ નાનીસરા પરિવારના પૂર્વજોને આશીર્વાદ આપ્યા હતા. તેમણે વંશમાં બાળકની ખોટ પૂર્ણ થવાનું વચન આપ્યું હતું અને દારૂનો ત્યાગ રાખવાનો સંદેશ આપ્યો હતો. કંથરાવીયા નાનીસરા પરિવાર આજે પણ આ વચનનું પાલન કરી રહ્યો છે. દિવસ દરમિયાન સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. લખન મ્યુઝિક બેન્ડના ભક્તિગીતો સાથે ભક્તોએ ગરબા અને નૃત્ય કર્યા હતા. શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાની નોટો અર્પણ કરી હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ શિરા મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે ગુજરાતના જાણીતા કવ્વાલ સલીમ વારસી અને તેમની ટીમે ભવ્ય કવ્વાલી કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેનો દૂર-દૂરથી આવેલા ભક્તોએ લાભ લીધો હતો. શોભાયાત્રાના રૂટ પર વિવિધ પરિવારો દ્વારા સેવાકીય કેમ્પો પણ ચલાવવામાં આવ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં પાટણ શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો જેવા કે પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ એમ. સોલંકી, મહેશભાઈ સુતરીયા, રંજનભાઈ સોલંકી, વર્તમાન કોર્પોરેટર સાધનાબેન પરમાર, ચેતનભાઈ સાલવી, ભાજપ મોરચા મહામંત્રી મહેશભાઈ જાદવ, નારણભાઈ મકવાણા, હર્ષદભાઈ પાટણકર, હસમુખભાઈ સોલંકી, કિરીટભાઈ પરમાર અને નંદુભાઈ સહિતના મહાનુભાવોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમસ્ત કંથરાવીયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Original Article →