હરિદ્વારમાં ભાગવત મહોત્સવનું સમાપન થયું:શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ મનોરથ સાથે અંતિમ દિવસ ઉજવાયો
હરિદ્વારમાં પાટણના શ્રી શ્રી હરિ સેવા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહોત્સવનું સમાપન થયું. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગંગા કિનારે આવેલા મુલતાન ભુવનમાં આ મહોત્સવ યોજાયો હતો. કથાના અંતિમ ચરણમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો મનોરથ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. વ્યાસપીઠ પરથી કથાના વક્તા દિલીપભાઈ શાસ્ત્રી ભાઈએ શ્રીમદ ભાગવત, મહાભારત અને રામાયણના પ્રસંગોનું વર્ણન કર્યું. તેમણે મોક્ષની પ્રાપ્તિ માટે સંકલ્પના મહત્વ પર ભાર મૂક્યો. શાસ્ત્રીજીએ રાજા પરીક્ષિતનું ઉદાહરણ આપતા જણાવ્યું કે સુકદેવજી પાસેથી ભગવાનની લીલાઓ સાંભળીને તેમનો તક્ષક નાગનો ભય દૂર થયો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે કળિયુગમાં ભક્તિ એ જ પરમાત્માને પામવાનું સર્વોત્તમ માધ્યમ છે. કથાના અંતિમ દિવસે દિલીપભાઈ જાની, કંચનબેન મહેશભાઈ ભટ્ટ, અનંતભાઈ જાની, રેણુકાબેન મહેશભાઈ દેરાસરી, સ્વ. વીરેન્દ્રભાઈ વ્યાસ (આશુતોષભાઈ), કૃપાબેન, સંજયભાઈ અને સુનિલભાઈ ગીરીશભાઈ આચાર્ય પરિવારોએ મનોરથી તરીકે કથાનો લાભ લીધો હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે નાની બાલિકાઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ હતી. આ અવસરે મામેરા મોસાળાની યાત્રા પણ કાઢવામાં આવી હતી. પોથી પૂજન બાદ કથાને વિરામ અપાયો. સમગ્ર મહોત્સવનું સંચાલન અવનીબેન, અમિતભાઈ, જીગરભાઈ અને ભાર્ગવભાઈ સહિતની ટીમે સુચારુ રીતે કર્યું હતું. શાસ્ત્રીજીએ વ્યાસપીઠ પરથી ઉપસ્થિત પત્રકારો, કથાકાર અને કલાકારોની ભૂમિકાને બિરદાવી હતી. આ ઉપરાંત, અમિતભાઈ અને જીગરભાઈ દ્વારા પવિત્ર ગંગાજીમાં ભક્તોને મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક પૂર્વજોની તર્પણ વિધિ પણ કરાવવામાં આવી હતી.
Read Original Article →