CCE ભરતીમાં CBRT પદ્ધતિ સામે ઉમેદવારોનો વિરોધ:નોર્મલાઇઝેશનથી અન્યાયના આક્ષેપ સાથે OMR પદ્ધતિની માગ

Gujarat4/6/2026, 9:21:02 AM
CCE ભરતીમાં CBRT પદ્ધતિ સામે ઉમેદવારોનો વિરોધ:નોર્મલાઇઝેશનથી અન્યાયના આક્ષેપ સાથે OMR પદ્ધતિની માગ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) ભરતી પ્રક્રિયામાં CBRT (Computer Based Response Test) પદ્ધતિ સામે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને MCQ-OMR પદ્ધતિથી પરીક્ષા લેવાની માગ કરી છે. ભૂતકાળમાં ઓનલાઇન પરીક્ષા અને નોર્મલાઇઝેશન ફોર્મ્યુલાના કારણે થયેલા અન્યાયને કારણે આ વિરોધ ઉઠ્યો છે. મંડળ દ્વારા તાજેતરમાં CCE ગ્રુપ-A અને ગ્રુપ-B (જાહેરાત ક્રમાંક: 37/202526) ની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાતના મુદ્દા નંબર-21 મુજબ, તબક્કા-1 ની પ્રાથમિક પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે, અગાઉની CCE (જા.ક્ર. 212/2023-24) અને વનરક્ષકની પરીક્ષાઓમાં CBRT પદ્ધતિને કારણે અનેક વિવાદો સર્જાયા હતા. ભૂતકાળમાં 71 જેટલી અલગ-અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા લાગુ પડતા ઉમેદવારોના ગુણમાં 2 થી 37 ગુણ સુધીનો તફાવત જોવા મળ્યો હતો. આ ઉપરાંત, 300 થી વધુ પ્રશ્નોના જવાબ ખોટા હોવાના વિવાદોને કારણે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં પરીક્ષા લેનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માગણી થઈ હતી. ઉમેદવારોએ રજૂઆત કરી છે કે, CBRT પદ્ધતિ નિષ્ફળ નીવડી છે, જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષામાં MCQ-OMR પદ્ધતિ વધુ પારદર્શક અને ઝડપી સાબિત થઈ હતી. વર્તમાન ભરતી પ્રક્રિયામાં પણ CBRT પદ્ધતિનો ઉલ્લેખ હોવાથી ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આગામી CCE પરીક્ષા ઓફલાઇન OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા વિનંતી કરવામાં આવી છે, જેથી મહેનતુ ઉમેદવારોને અન્યાય ન થાય અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.
Read Original Article →