ચંદ્રુમાણામાં નાયક બંધુઓ દ્વારા ચૈત્ર માસની જાતર યોજાઈ:રાજા ભરથરી નાટક, મહાકાળી ગરબા સાથે ખપ્પરજ્યોત કરાઈ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર માસ નિમિત્તે નાયક બંધુઓ દ્વારા શ્રી ગૌરી માતાની જાતર પરંપરાગત રીતે યોજાઈ હતી. આ વર્ષો જૂની પરંપરામાં જાતર અને રાજા ભરથરીનું નાટક ભજવવામાં આવ્યું હતું. કુણઘેરના નાયક બંધુઓ દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે કુણઘેર ગામેથી જાતરની શરૂઆત કરવામાં આવે છે. આ જાતર પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં દેવી શક્તિની આરાધના માટે લઈ જવાય છે. જાતર પૂર્ણ થયા પછી બીજા દિવસે માતાજીના મંદિરે ઘૂઘરા છોડવામાં આવે છે. રવિવારે રાત્રે ચાચર ચોકમાં ભુંગળ વગાડીને જાતરનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે રાજા ભરથરીનું નાટક ભજવવામાં આવ્યું હતું. ઉપરાંત, મહાકાળી માતાના ગરબા સાથે સગડી જ્યોત અને ખપ્પર જ્યોત પણ રાખવામાં આવી હતી. આ જાતરની અભિવ્યક્તિમાં વાસુદેવભાઈ નાયક, દિલીપભાઈ નાયક, રમેશભાઈ, ભરતભાઈ, સેવંતીભાઈ અને સતિષભાઈ સહિતના કલાકારોએ ભાગ લીધો હતો. ગામલોકોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. બીજા દિવસે, સોમવારે શ્રી ગૌરી માતાના મંદિરે ઘૂઘરા છોડવાની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ, અગ્રણી પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, ભરતભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, દિલીપભાઈ વ્યાસ, ભગાભાઈ વ્યાસ, કિશોરભાઈ ઠાકર સહિતના ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યથાશક્તિ લક્ષ્મી ભેટ અર્પણ કરી જાતરને માણી હતી. જાતરની પૂર્ણાહુતિ વખતે નાયક ભાઈઓએ ગામમાં સુખ-શાંતિ, સૌના સારા સ્વાસ્થ્ય અને દુઃખોના નિવારણ માટે તેમજ ગામલોકોમાં એકતા જળવાઈ રહે તેવી મંગલ કામના વ્યક્ત કરી હતી.
Read Original Article →