પંચમહાલને રક્તપિત્ત મુક્ત કરવા અભિયાન:કલેક્ટર અજય દહીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Gujarat6/6/2026, 3:52:24 PM
પંચમહાલને રક્તપિત્ત મુક્ત કરવા અભિયાન:કલેક્ટર અજય દહીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહીયાના અધ્યક્ષસ્થાને "રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ" અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે અભિયાનને સફળ બનાવવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. જિલ્લામાં 8 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન’ યોજાશે, જેમાં ૧૫૧૪ ટીમો ઘરે-ઘરે જઈને સર્વે કરશે. જાગૃતિ ફેલાવવા સૂચનો કર્યા કલેક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે, અભિયાન અંતર્ગત ઘરે-ઘરે ચોક્કસ સર્વે થાય તે માટે આશા વર્કર અને અન્ય આરોગ્ય કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી જરૂરી છે. તેમણે રક્તપિત્ત સંબંધિત સાહિત્યનું વિતરણ કરીને લોકોને આ રોગ અંગે સાચી સમજણ આપવા અને વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવા સૂચનો કર્યા હતા. જિલ્લામાં 1514 ટીમો દ્વારા 8થી 30 જૂન વિશેષ કેમ્પેન જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. એ. કે. તાવિયાડના જણાવ્યા અનુસાર, પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 8 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન આ વિશેષ કેમ્પેન હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે જિલ્લામાં કુલ 1514 ટીમો બનાવવામાં આવી છે, જે સતત 14 દિવસ સુધી કામ કરીને જિલ્લાની તમામ વસ્તી અને ઘરોને આવરી લેશે. આશા અને વોલન્ટીયર્સની આ ટીમો ઘરે-ઘરે ફરીને રક્તપિત્તના શંકાસ્પદ કેસોની તપાસ કરશે અને લોકોને રોગ અંગે સમજણ આપશે. રક્તપિત્તની સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ અભિયાન દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાએ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકો અને તાલીમનું આયોજન કરાયું છે. ઘરે-ઘરે સર્વે દરમિયાન મળી આવતા તમામ શંકાસ્પદ કેસોનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ દ્વારા નિદાન કરવામાં આવશે. નિદાન થયેલા તમામ દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરાશે. રક્તપિત્તની સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રક્તપિત્તના લક્ષણો અંગે પણ માહિતી આપવામાં આવી આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના લક્ષણો અંગે પણ માહિતી આપવામાં આવી છે, જેમાં શરીરના કોઈપણ ભાગ પર આછા, ઝાંખા કે રતાશ પડતા સંવેદના વગરના ચાઠા પડવા, તેમજ હાથ-પગમાં બહેરાશ આવવી અથવા સ્નાયુઓ નબળા પડવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જિલ્લા રક્તપિત્ત અધિકારી, તમામ તાલુકાના આરોગ્ય અધિકારીઓ તેમજ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →