ગોધરામાં વરસાદી પાણી નિકાલનું કામ:પાઇપલાઇન અને જરૂરી ચેમ્બર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

Gujarat6/4/2026, 11:30:28 AM
ગોધરામાં વરસાદી પાણી નિકાલનું કામ:પાઇપલાઇન અને જરૂરી ચેમ્બર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
ગોધરા શહેરમાં આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર દર વર્ષે સર્જાતી જળબંબાકારની સ્થિતિના કાયમી ઉકેલ માટે પાઇપલાઇન અને જરૂરી ચેમ્બર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લા કોર્ટ સંકુલ રોડ, જિલ્લા પંચાયત કચેરી, તાલુકા કચેરી, જિલ્લા સેવાસદન ગેટ, પોલીસ હેડક્વાર્ટર ગેટ અને ભૂરાવાવ જેવા મહત્વના અને વ્યસ્ત વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારો વહીવટી અને સરકારી કચેરીઓનું મુખ્ય કેન્દ્ર હોવાથી, અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિવિધ સરકારી કામકાજ અર્થે આવતા હજારો અરજદારોને પણ પાણી ભરાવાને કારણે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાના કાયમી નિવારણ અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારોને આવરી લેતી નવી ડ્રેનેજ પાઇપલાઇન અને પાણીના વહેણ માટે જરૂરી ચેમ્બર બનાવવાની કામગીરી સક્રિય કરવામાં આવી છે. પાલિકાના આ આગોતરા આયોજનને કારણે આ વર્ષે ચોમાસામાં સ્થાનિકો અને અરજદારોને પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.
Read Original Article →