ગોધરામાં 24 કલાકમાં 7 લોકોએ ઝેરી દવા પીધી:તમામ દર્દીઓ હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ

Gujarat6/9/2026, 4:20:12 PM
ગોધરામાં 24 કલાકમાં 7 લોકોએ ઝેરી દવા પીધી:તમામ દર્દીઓ હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ
ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં છેલ્લા 24 કલાકમાં ઝેરી દવા પીવાના સાત કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં પાછલા 24 કલાક દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાંથી આત્મહત્યાનો પ્રયાસ કરવાના આ ચોંકાવનારા કેસ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનાઓ પાછળના કારણો અગમ્ય છે. નોંધાયેલા કેસોમાં ગોધરા તાલુકાના કાંટડીના 45 વર્ષીય યોગેન્દ્ર રાઉલજીએ જંતુનાશક દવા પી લીધી હતી. કાલોલ તાલુકાના ઝરડકાના 35 વર્ષીય બળદેવભાઈ દશરથભાઈએ ઈયળ મારવાની દવા ગટગટાવી હતી. ગોધરા તાલુકાના વાવડીના 30 વર્ષીય સીમાબેન પરમાર નામની મહિલાએ પણ ઝેરી દવા પી લીધી હતી. આ ઉપરાંત, શહેરા તાલુકાના ભેંસાલ ગામના અભેસિંગ અમરસિંગ બારીયા નામના યુવકે ઉંદર મારવાની દવા પીધી હતી. સાવલી તાલુકાના આકલિયાના 23 વર્ષીય ભાવેશભાઈ પરમારે પણ ઉંદર મારવાની દવા ગટગટાવી હતી. ગોધરા તાલુકાના પોપટપુરાના 30 વર્ષીય નિલેશભાઈ લક્ષ્મણભાઈ રાઠવાએ પણ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. ઉપરોક્ત છ કેસ ઉપરાંત અન્ય એક કેસ સહિત કુલ સાત દર્દીઓને ઝેરી દવાની અસરના કારણે ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની ટીમ દ્વારા તમામ દર્દીઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
Read Original Article →