ગોધરા ST ડિવિઝને ઈતિહાસ સર્જ્યો:500થી વધુ BS-6 બસો સાથે ગુજરાતનું પ્રથમ પ્રદૂષણ મુક્ત ડિવિઝન બન્યું
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હેઠળના ગોધરા વિભાગે પર્યાવરણ સંરક્ષણ અને મુસાફરોની સુવિધા ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગોધરા ડિવિઝન રાજ્યનું પ્રથમ એવું ડિવિઝન બન્યું છે, જ્યાં તમામ જૂની બસોને બદલીને 500થી વધુ અત્યાધુનિક BS-6 (Bharat Stage 6) ટેકનોલોજી ધરાવતી બસોનો કાફલો કાર્યરત કરવામાં આવ્યો છે. પર્યાવરણ અને સુરક્ષાનો સમન્વય
આ બદલાવ સાથે ગોધરા વિભાગ હેઠળના તમામ રૂટો પર હવે પ્રદૂષણ ફેલાવતી જૂની બસો ભૂતકાળ બની ગઈ છે. BS-6 ટેકનોલોજીના કારણે હવાનું પ્રદૂષણ નહિવત થાય છે, જે પંચમહાલ જિલ્લાના પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. મુસાફરોની સલામતી માટે આ બસોમાં ખાસ સુવિધાઓ ઉમેરવામાં આવી છે: અત્યાધુનિક બ્રેકિંગ સિસ્ટમ: મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે. ઈમરજન્સી એલાર્મ: કોઈપણ આકસ્મિક સ્થિતિમાં ત્વરિત જાણકારી માટે. આરામદાયક બેઠક વ્યવસ્થા: લાંબા અંતરના પ્રવાસમાં મુસાફરોને થાક ન લાગે તેવું આયોજન. મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટો લાભ
ગોધરા વિભાગના આ આધુનિકીકરણનો સીધો લાભ જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ અને દાહોદ જેવા મોટા શહેરોમાં જતી જનતાને મળશે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સેવા વધુ સુવિધાજનક બનશે. સુવ્યવસ્થિત સંચાલન
ડેપો પ્રશાસન દ્વારા તમામ 500થી વધુ નવી બસોનું સંચાલન સમયબદ્ધ રીતે થાય તે માટે માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રદૂષણ મુક્ત અભિયાન અને શ્રેષ્ઠ મુસાફર સેવાના આ મોડેલને કારણે ગોધરા એસ.ટી. ડિવિઝને સમગ્ર રાજ્યમાં એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
Read Original Article →