નવસારી SOGએ 16 તલવારો જપ્ત કરી:બોરીયાચ ટોલપ્લાઝા પાસેથી ગાંધીનગરના બે શખ્સો ઝડપાયા

Gujarat6/8/2026, 3:12:02 PM
નવસારી SOGએ 16 તલવારો જપ્ત કરી:બોરીયાચ ટોલપ્લાઝા પાસેથી ગાંધીનગરના બે શખ્સો ઝડપાયા
નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બોરીયાચ ટોલપ્લાઝા નજીકથી ગેરકાયદેસર રીતે 16 તલવારો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ ગાંધીનગરના દેવાનંદ મારવાડી અને ભોલેનાથ મારવાડી છે. પોલીસે 4,800 રૂપિયાની કિંમતની તલવારો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જાહેર શાંતિ સુનિશ્ચિત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટે હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત તલવાર, ભાલા, બંદૂક કે ચપ્પુ જેવા શસ્ત્રો સાથે જાહેર સ્થળો પર ફરવા પર પ્રતિબંધ છે. આ જાહેરનામાના કડક અમલ માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS) દ્વારા SOGને સૂચનાઓ અપાઈ હતી. SOG પી.આઈ. આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અ.હે.કો. ભક્તેશ નિવૃતીભાઈ અને અ.હે.કો. મયુર રઘુભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે SOG ટીમે બોરીયાચ ટોલપ્લાઝાથી ચીખલી તરફ જતી રોડ પર આવેલી હોટલ શ્રી ક્રિષ્ણા પાસેથી બે શંકાસ્પદ ઇસમોને પકડ્યા હતા. તેમની તલાશી લેતા કુલ 16 નંગ લોખંડની તલવારો મળી આવી હતી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ દેવાનંદ ભાનુ મારવાડી (ઉં.વ. 24, રહે. પશુ દવાખાના પાછળના છાપરા, કલોલ, ગાંધીનગર) અને ભોલેનાથ આત્મારામ મારવાડી (ઉં.વ. 25, રહે. પશુ દવાખાના પાસે, કલ્યાણપુરા, કલોલ, ગાંધીનગર) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. દેવાનંદ મારવાડી સામે કલોલ પોલીસ સ્ટેશન (ગાંધીનગર) માં જી.પી. એક્ટ 135 મુજબ (વર્ષ 2025), નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ 135 મુજબ (વર્ષ 2025) અને ચીખલી પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ 135 મુજબ (વર્ષ 2026) ગુના નોંધાયેલા છે. ભોલેનાથ મારવાડી સામે અંકલેશ્વર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 503 અને જી.પી. એક્ટ 135 મુજબ (વર્ષ 2023) તેમજ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 (ચોરી) મુજબ (વર્ષ 2023) ગુના નોંધાયેલા છે.
Read Original Article →