લુન્સીકુઈ મેદાનના પાળા પર ગ્રીલ ફિટ કરાઈ:સિનિયર સિટિઝન્સની બેસવાની જગ્યા છીનવાતાં હોબાળો, કમિશનરને રજૂઆત
નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાનમાં વિકાસ કાર્યો હેઠળ પાળા પર ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરાયું છે. આ કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. લુન્સીકુઈ ગ્રાઉન્ડ ફરતે એક ફૂટ પહોળો પાળો આવેલો છે. વર્ષોથી આ પાળો નિવૃત્ત વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે સાંજના સમયે બેસવાનું સ્થળ રહ્યું છે. પાલિકાએ આ પાળાની બરાબર વચ્ચે લોખંડની ગ્રીલ લગાવવાનું શરૂ કર્યું છે. ગ્રીલ લગાવવાના કારણે હવે નાગરિકો માટે પાળા પર બેસવું અશક્ય બની ગયું છે. આનાથી સિનિયર સિટિઝન્સ માટેની એકમાત્ર લોકપ્રિય જગ્યા છીનવાઈ ગઈ છે.
પાલિકાની આ કામગીરીની જાણ થતાં જ શહેરના બુદ્ધિજીવીઓ અને સ્થાનિક અગ્રણીઓ લુન્સીકુઈ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. તેમણે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આ કામ તાત્કાલિક અટકાવવા રજૂઆત કરી છે. આ વિવાદમાં વોર્ડ નંબર 13ના ભાજપના નગરસેવક વિજય રાઠોડ પણ જોડાયા હતા. તેમણે પાલિકાના વહીવટી તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો અને લોકહિતમાં કામ અટકાવવાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે, મેદાનમાં સિન્થેટિક ટ્રેક સહિત વિવિધ રમત-ગમતના સાધનો વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. ભૂતકાળમાં પણ આ પ્રોજેક્ટ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
Read Original Article →