નવસારી પંચાયત ચોમાસા પૂર્વે એલર્ટ:જર્જરિત આવાસો બદલી નવા બનાવવાની જાહેરાત

Gujarat6/6/2026, 8:57:32 AM
નવસારી પંચાયત ચોમાસા પૂર્વે એલર્ટ:જર્જરિત આવાસો બદલી નવા બનાવવાની જાહેરાત
રાજ્યમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે નવસારી જિલ્લા પંચાયત તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન જૂના અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આવી સંભવિત દુર્ઘટનાઓને ટાળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પંચાયતે મહત્વપૂર્ણ આયોજન હાથ ધર્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયકે જર્જરિત આવાસો મામલે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગ્રામ્ય સ્તરના તલાટીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ જર્જરિત આવાસોની સચોટ માહિતી એકત્રિત કરવા અને ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન ઘટે તે માટે આગોતરા પગલાં લેવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત તંત્ર દ્વારા એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, ચોમાસામાં જર્જરિત મકાનો તૂટી પડવાથી કોઈ પણ નાગરિકને ઈજા ન પહોંચે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે એક વિશેષ યોજના ઘડી કાઢવામાં આવી છે. જે પરિવારોના આવાસો અત્યારે ભયજનક અને જર્જરિત સ્થિતિમાં છે, તેવા પરિવારોને સુરક્ષિત રાખવા માટે નવા આવાસો બનાવી આપવાનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. સંબંધિત અધિકારીઓને આ અંગેની પૂર્વ તૈયારીઓ અને આગળની પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા માટેની તમામ માર્ગદર્શિકાઓ અને સૂચનાઓ પણ જારી કરી દેવામાં આવી છે.
Read Original Article →